૧ લાખ સીડબોલના અભિષેકથી ભાવનગરની ધરા હરિયાળી બનશે

561

હરિયાળી એ તો ધરતી માતાની શોભા છે. લીલાછમ વૃક્ષો અને વનરાજીથી તો આ ધરતીની શોભા વધે છે. દરેક ચોમાસામાં પ્રથમ વખતના વરસાદ બાદ ધરતી જે લીલી ચૂંદડી ઓઢે છે.. તે નયનરમ્ય હોય છે. કવિઓને કવિતા સ્ફુરે અને દિલને બાગ-બાગ બનાવી દે તેનું નામ હરિયાળી. આવી પ્રકૃતિનો ખોળો હર્યોભર્યો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ વિશ્વ વન દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીને વધુને વધુ વૃક્ષો વાવીને ધરતીની શોભા અભિવૃધ્ધિ કરવામાં આવે છે. આ રીતે તાજેતરમાં જ ૫ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો જ એક નાનકડો પણ મહત્વપૂર્ણ પ્રયાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત ભરતનગરની શાળાએ કર્યો છે. જેમાં કાળી માટીમાં વિવિધ આયુર્વેદિક છોડ, વૃક્ષના બીજ મૂકીને સીડબોલ બનાવવામાં આવ્યાં છે. ચાલુ વર્ષ આવા ૧ લાખ અને ૧ હજાર સીડ બોલ બનાવવામાં આવ્યાં છે. જેને ભાવનગરના ૩૦ કિ.મી. વિસ્તારમાં ફેકવામાં આવશે.
આ અંગેની વિગતો આપતાં આ સીડબોલ બનાવનાર ભરતનગર શાળાના આચાર્યશ્રીશ્રી ડો. હરેશભાઇ રાજ્યગુરુની નીગરાનીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સેવાભાવી સંસ્થાના સહકારથી આ સીડબોલમાં બીલી, પીપળો, રૂખડો, લીમડો જેવાં આયુર્વેદિક વૃક્ષોના બીજ, કરિપાતુ, અશ્વગંધા, ગુગળ જેવાં છોડના બીજ અને તુરીયા અને ગલકા જેવાં શાકભાજી એમ વિવિધ પ્રકારના ૯૩ પ્રકારના બીજનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીડબોલ જે-જે જગ્યાએ પડશે ત્યાં કુદરતી રીતે જ તે ઉગી જશે. જેને ભાવનગર શહેર અને આસપાસ વિસ્તારનાં ૩૦ કિલોમીટરનાં વિસ્તારમાં જુદી જુદી સંસ્થા અને વ્યક્તિઓના સહયોગથી જમીન અને તેમાં થતી વનસ્પતિને ધ્યાને લઇ સીડબોલ ફેકવામાં આવશે. આજે યોજાયેલાં કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આજનો કાર્યક્રમ ભલે નાનો છે પણ તેનાથી ભવિષ્યમાં બહુ મોટો ફરક પડવાનો છે. ધરતી માતાને સીડબોલ અર્પણ કરવાનો કાર્યક્રમ એક રીતે ધરતી માતા માટેના સમર્પણનો કાર્યક્રમ છે. આ સીડબોલ જ્યાં- જ્યાં પડશે ત્યાં નંદનવનનું નિર્માણ થશે. તેમણે વધુમાં કહ્યું કે, કોઇ વ્યક્તિ સારા કામમાં જોડાય તો શું ફર્ક આવી શકે તે આવા કાર્યક્રમને લીધે સમજાતું હોય છે. વ્યક્તિ માટે તો સૌ કોઇ કાર્ય કરે પરંતુ સમષ્ટી માટે કરે તો તે પરોપકાર કહેવાય. આવા પરોપકારનું કાર્ય ભરતનગરની શાળાના શિક્ષકોએ કર્યું છે. ભાવનગરના પદનામિત કલેક્ટર યોગેશ નીરગુડેએ જણાવ્યું કે, તાઉ’તે વાવાઝોડામાં હજારો વૃક્ષો પડી ગયાં છે. આપણે લાખો વૃક્ષો વાવીને તે નુકશાનને સરભર કરવાનું છે. સીડબોલનું આ અભિયાન ચેન્જ દ્વારા સમતોલન જાળવવાનું કાર્ય છે. આ સીડબોલ જો ઉગી જાય તો આશરે ૫ લાખ વૃક્ષોની નવી વનરાજી ભાવનગર ખાતે ઉભી થશે. તેમણે આ માટે વન વિભાગ સહિતના વિભાગોને સાંકળીને ભાવનગરને વધુ હરિયાળું બનાવવાની હાકલ કરી હતી.આ કાર્યક્રમમાં સીડબોલનું પૂજન કરવામાં આવ્યું હતું. તો મહેમાનોનું સ્વાગત પણ અનોખી રીતે સીડબોલથી કરવામાં આવ્યું હતું. ગૌરીશંકર પ્રાથમિક શાળા નં.૬૫ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાશનાધિકારી યોગેશ ભટ્ટ, શિક્ષણ સમિતિના ચેરમેન નીલેશ રાવલ, હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા તથા પ્રકૃતિ પ્રેમી સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

Previous articleભાવનગરના નારી રોડ પર બે જગ્યાએ ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પર દરોડા, ૩૭ લાખનો મુદ્દામાલ ઝડપાયો
Next articleફાધર્સ ડે નિમિત્તે પિતા-પુત્ર દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરાયું