માતા-પિતા પ્રત્યુષા બેનર્જીનો કેસ લડવામાં બધું ગુમાવી બેઠા

224

(સંપૂર્ણ સમાચાર સેવા)મુંબઈ,તા.૩૦
પોપ્યુલર ટીવી શો ’બાલિકા વધૂ’ની બીજી સીઝન ખૂબ જલ્દી શરુ થવાની છે. બાળ વિવાહ આધારિત આ સીરિયલને તે સમયે દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. આનંદીથી લઈને જગિયા અને દાદીસા સુધી, દરેક પાત્ર વિશે આજે પણ લોકો માહિતગાર છે. જ્યારે વાત આનંદીની આવે છે ત્યારે આંખોની સામે દિવંગત એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીનો ચહેરો આવી જાય છે. ’બાલિકા વધૂ’માં અવિકા ગોરે નાની આનંદી તો બાદમાં પ્રત્યુષા બેનર્જીએ મોટી આનંદીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ લોકોને તે સમયે આંચકો લાગ્યો હતો જ્યારે ૧ એપ્રિલ ૨૦૧૬ના દિવસે પ્રત્યુષા બેનર્જીના મોતના સમાચાર સામે આવ્યા હતા. તેના મોતને આપઘાત ગણાવાયો હતો. પરંતુ તેના માતા-પિતાનું કહેવું હતું કે, તેની દીકરીની હત્યા કરવામાં આવી છે. પ્રત્યુષા બેનર્જીના મોતના સાડા પાંચ વર્ષ બાદ પણ કોયડો ઉકેલાયો નથી. પ્રત્યુષા બેનર્જીના ગયા બાદ તેનો પરિવાર ભાંગી પડ્યો અને બધુ ગુમાવી બેઠો. હવે તેના માતા-પિતાની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે.
’આજતક’ સાથેની વાતચીતમાં પ્રત્યુષા બેનર્જીના પિતા શંકર બેનર્જીએ જણાવ્યું કે, તેમને લાગે છે કે દીકરીના મોત બાદ તેમના જીવનમાં કોઈ મોટું તોફાન આવ્યું અને બધું લઈને ચાલ્યું ગયું. કેસ લડતા-લડતા તેઓ પોતાનું બધું ગુમાવી બેઠા છે. હવે, તેમની પાસે એક રુપિયો પણ બચ્યોપ્રત્‌.નથી. શોકમગ્ન શંકર બેનર્જીએ કહ્યું કે, તેમની દીકરીના કારણે જ આર્થિક સ્થિતિ સુધરી હતી. તે એક માત્ર આશરો હતી, પરંતુ પ્રત્યુષાના ગયા બાદ બધું ખરાબ થઈ ગયું. તેમનું જીવન માંડ પસાર થઈ રહ્યું છે. તેઓ એક રુમમાં રહે છે અને કેટલીયવાર દેવું પણ લઈ ચૂક્યા છે. કોઈ પણ રીતે જીવનની ગાડી ચાલતી રહે તે માટે પ્રત્યુષા બેનર્જીની માતા એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામ કરે છે. પ્રત્યુષાના પિતાએ કહ્યું, ભલે તેમની પાસે પૈસા નથી પરંતુ તેઓ હિંમત હાર્યા નથી. ’હું પ્રત્યુષાના હક માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ. પ્રત્યુષાની જીત અમારી છેલ્લી આશા છે અને મને વિશ્વાસ છે કે અમે એક દિવસ જરૂરથી જીતીશું’.

Previous articleસાદી એસટી બસનું ભાડું વધુ વસુલાતા મુસાફરોમાં રોષ
Next articleઆશાવર્કર-ફેસીલીએટરોને કોવિડ કામગીરીનું વળતર નહીં મળતા રોષ : આંદોલનની ચીમકી