ડીવાય. એસ.પી. પદે પસંદગી પામનાર શ્રીમતી રીમાબેન કુલદીપસિંહ ડોડીયાનો ગરિમા પૂર્ણ અભિવાદન સમારોહ સંપન્ન

117

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, પૂર્વ કુલપતિ ડો. અનામિક શાહ, ઉદ્યોગપતિ ભરતભાઈ વાછાણી અને બિલ્ડર યોગેશભાઈ ગરાળાની પ્રેરક ઉપસ્થિતિ
તાજેતર માં જી. પી. એસ. સી. દ્વારા લેવાયેલ વર્ગ ૧-૨ ની પરીક્ષામાં લેખિત અને મૌખિક બંને પરીક્ષાઓ પ્રથમ પ્રયાસે ઉચ્ચ ગુણાંકન સાથે પાસ કરી ડીવાય. એસ.પી. (વર્ગ ૧) પદે પસંદગી પામનાર શ્રીમતી રીમાબેન કુલદીપસિંહ ડોડીયા નો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પૂર્વ કુલપતિ ડો. અનામિક શાહ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. સમારોહની શરૂઆત ડો. વિજયભાઈ દેશાણી, બિલ્ડર શ્રી યોગેશભાઈ ગરાળા, અને ઉદ્યોગપતિ શ્રી શૈલેષભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. સોસાયટી ના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયાએ સ્વાગત પ્રવચન સાથે મહેમાનોનો પરિચય આપેલ. આ પ્રસંગે કારોબારી સભ્ય શ્રીમતી તૃપ્તિબેન ભરતભાઈ વાજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા શ્રીમતી રીમાબેન ડોડીયાની આ યશશ્વી સિદ્ધિ ને બિરદાવી અને તેના પિયર અને સસરા પક્ષને અભિનંદન આપ્યા હતા. પ્રાસંગિક ઉદબોધન કરતા ડો શિવાંગી નિલેશભાઈ મંડાવિયા એ શ્રીમતી રીમાબેન ડોડીયાની સિદ્ધિને બિરદાવી તેઓની પોલીસ અધિકારી તરીકેની ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા સોસાયટી ના મંત્રી અને વરિષ્ઠ ઉદ્યોગપતિ શ્રી સાજીભાઈ મેથ્યુ એ જણાવ્યું હતું કે સોસાયટીના કોઈપણ સભ્યના પરિવારમાં થી યુ. પી. એસ. સી. કે જી.પી.એસ.સી. દ્વારા વર્ગ ૧ કે ૨ ના અધિકારી માટે લેવાતી પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરે તો તેનો ગરિમા પૂર્ણ સન્માન સમારોહ યોજવા કારોબારીના તમામ સભ્યોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સન્માન પત્ર નું વાંચન ડો. પૂજા પરસાણીયા એ કર્યું હતું. ત્યારબાદ ડો. વિજયભાઈ દેશાણી અને ડો. અનામિક શાહના હસ્તે શ્રીમતી રીમાબેન કુલદીપસિંહ ડોડીયાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રત્યુત્તર આપતા શ્રીમતી રીમાબેન ડોડીયા એ જણાવ્યું હતું કે પોતાની આ સિદ્ધિમાં સૌથી મોટો ફાળો તેમના તેમના પતિ આર્કીટેક કુલદીપસિંહ ડોડીયા તેમજ પિયર અને સસરા પક્ષ ના તમામ સભ્યોનો રહ્યો છે. આ ઉપરાંત તેમણે કેવા દ્રઢ નિશ્ચયથી જી.પી.એસ.સી. ની પરીક્ષાની તૈયારી કરી હતી તેની માહિતી આપી સન્માન બદલ સોસાયટીના તમામ કારોબારી સભ્યોનો આભાર માન્યો હતો. શ્રીમતી રીમાબેન કુલદીપસિંહ ડોડિયાએ સન્માન પત્ર સ્વીકાર્યું ત્યારે તેમના પતિ આર્કીટેક કુલદીપસિંહ ડોડીયા, સાસુ શ્રીમતી ધિરજબા ડોડીયા, માતા શ્રીમતી લલીતાબેન ઝાલા, કાકી શ્રીમતી મંજુબેન ઝાલા અને નણંદ ડો. ભાર્ગવીબેન ડોડીયા અને ભાઈ આર્યમાન દીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નિલેશભાઈ માંડવીયા અને શ્રીમતી રેખાબેન માંડવીયા દ્વારા શ્રીમતી રીમાબેન ઝાલાને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ડી. પી. ત્રિવેદી, શ્રી શરદભાઈ જાની, અને શ્રી દિલીપભાઈ આહ્યા વગેરે એ દ્વારા રીમાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા ડો. વિજયભાઈ દેશાણી એ જણાવ્યું હતું કે આ સોસાયટીની કારોબારી સમિતિમાં મહત્તમ સંખ્યા બહેનોની છે જે સ્ત્રી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે. આપણા સમાજ માં પુત્ર અને પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે માતા પિતા હંમેશા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. પરંતુ એક પુત્રવધુને પોતાના સપના સાકાર કરવા યોગ્ય વાતાવરણ અને પ્રોત્સાહન અપાતું હોય તેવું બહુ ઓછા કિસ્સામાં બનતું હોય છે. આ સ્થિતિમાં શ્રીમતી રીમાબેન કુલદીપસિંહ ડોડીયા એ દ્રઢ નિશ્ચય અને કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ સાર્થક કરીને આ સફળતા હાંસલ કરી છે. આભારવિધી સોસાયટીના પ્રમુખ ડો જયદીપસિંહ ડોડિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ખુબજ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં ડો. શિવાંગી નિલેશભાઈ માંડવીયા એ કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સોસાયટીના મંત્રી શ્રી સાજીભાઈ મેથ્યુ, સહમંત્રી શ્રી અજયસિંહ એમ. પરમાર, કારોબારી સભ્ય શ્રી શૈલેષભાઇ પટેલ, શ્રી નિલેશભાઈ માંડવીયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભરતભાઈ વાજા, ડો. શિવાંગી માંડવીયા, શ્રી હરેશભાઇ કુંડલ, શ્રી રાજેશભાઈ મેહતા તેમજ શ્રી સુમિત પરમાર સહીત તમામ લોકોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleઆજે ૨૩૫ કોરોનાના કેસ નોંધાયા, ૩૫ કોરોનાને માત આપી, ૧નું મોત
Next articleબિનજરૂરી અફવાઓ માટે કોઈ જગ્યા નથી : અર્જુન