ભાવનગરના શિવાજી સર્કલમાંથી બિનવારસી હાલતમાં આધેડની લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

130

લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના વાલી વારસદારની શોધખોળ હાથ ધરાઈ
ભાવનગરના ઘોઘારોડ પર આવેલા શિવાજી સર્કલમાથી અજાણ્યા આધેડની બીનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે શનિવારે સવારે શહેરના ઘોઘારોડ સ્થિત શિવાજી સર્કલમાં મોર્નિંગ વોક માટે આવેલા કોઈ વ્યક્તિ એ એક આધેડની લાશ જોઈ હતી. જેથી તેણે પોલીસને જાણ કરી હતી. સર્કલમાં કોઈ શખ્સની લાશ પડી હોવાની માહિતી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લીધો હતો. પોલીસે તપાસ હાથ ધરતા મરણ જનાર અજાણ્યા પુરુષની ઉંમર આશરે 55 વર્ષ જેટલી જણાઈ આવી છે. તેમજ તેના કબ્જામાંથી કોઈ આધારભૂત દસ્તાવેજ કે ઓળખ થઈ શકે એવી કોઈ વસ્તુ મળી આવી ન હતી. ઉપરાંત મૃતકના શરીર પર કોઈ ઈજા કે અન્ય નિશાન પણ જોવા મળ્યા ન હતા. પ્રથમ દષ્ટિએ આ શખ્સનુ બિમારી કે કુદરતી મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતકના વાલી-વારસદારોની શોધખોળ હાલ પોલીસે હાથ ધરી છે.

Previous articleભાવનગરમાં ભાજપ કાર્યાલય ખાતે કારોબારી બેઠક મળી, રાજકીય પ્રસ્તાવો રજૂ કરાયા
Next articleગોહિલવાડની મોટાભાગની માર્કેટયાર્ડમાં મગફળીની ભરપૂર આવક