ઓમિક્રોન વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક, રસી લેવાની સલાહ

96

ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનની ચેતવણી : રસી અસરકારક સાબિત થઈ રહી છે કારણ કે, ઘણા દેશોમાં સંખ્યા ઝડપથી વધી રહી હોવા છતાં, રોગની ગંભીરતા નવા સ્તરે નથી પહોંચી : સૌમ્યા
નવી દિલ્હી, તા.૩૦
દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે જેના પર ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કે, રસીની અસરકારકતા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. એક તો રસી છે અને બીજુ ઉંમર જેવા જૈવિક પરિબળો છે. સ્વામીનાથને આ વાત પર ભાર મુકતા જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કારણ કે, આ સંક્રમણ રસી લીધી હોય તેમને પણ અને રસી ના લીધી હોય તેમને પણ એમ બંને લોકોમાં થઈ રહ્યું છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, રસી હજુ પણ અસરકારક સાબિત થઈ રહી છે કારણ કે, ઘણા દેશોમાં સંખ્યા ઝડપથી વધી રહી હોવા છતાં, રોગની ગંભીરતા નવા સ્તરે નથી પહોંચી. આ સાથે જ, સ્વામિનાથને રાહતનો શ્વાસ લીધો હતો કે મોટાભાગના લોકો હળવી સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, વેક્સિન સુરક્ષાત્મક સાબિત થઈ રહી છે. ક્રિટિકલ કેરની જરૂરિયાત નથી વધી રહી. આ એક સારો સંકેત છે. સ્વામીનાથને બુધવારે એક ટિ્‌વટમાં જણાવ્યું કે, આશા પ્રમાણે ટી સેલ ઈમ્યુનિટિ ઓમિક્રોન સામે વધુ સારી હોય છે. તે આપણને ગંભીર બીમારીથી બચાવે છે તેથી જો તમે વેક્સિન ના લીધી હોય તો કૃપા કરીને ઝડપથી લઈ લેવી. સ્વામીનાથને બુધવારે ડબલ્યુએચઓપ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, વેક્સિનની અસરકારકતા બે રસીની વચ્ચે થોડી અલગ હોય છે. જોકે, ડબલ્યુએચઓના ઈમરજન્સી ઉપયોગ લિસ્ટની મોટાભાગની રસીઓમાં વાસ્તવમાં ઉચ્ચ સુરક્ષા દર હોય છે અને આ રસી ઓછામાં ઓછા ડેલ્ટા વેરિઅન્ટ જેવી ગંભીર બીમારીમાં મૃત્યુથી બચાવે છે.કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ડો. સૌમ્યા સ્વામીનાથન સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ રસીકરણના વિસ્તરણ અને મજબૂતીકરણની હાકલ કરી ચુક્યા છે. ડો. સૌમ્યા સ્વામીનાથનને જણાવ્યું કે, વેક્સિનેસનને વધુ ઝડપી બનાવવાની જરૂર છે જેથી એ નિશ્ચિત થઈ શકે કે, વંચિત લોકોને પણ આ મહામારીથી સુરક્ષા પ્રદાન થઈ શકે. તેમણે આગળ જણાવ્યું કે, કોરોના મહામારીના શરૂઆતના સમયમાં જ તેનો ઈલાજ શોધવાનું કામ શરૂ કરી દીધું હતું. ચીન અને ઈટાલી તથા કેટલાક દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું જ્યાં પ્રથમ લહેરમાં મૃત્યુદર ઘણો વધારે હતો. અમે થોડા અઠવાડિયામાં ૩૦ દેશોમાં ટ્રાયલ શરૂ કર્યા હતા. ભારત પણ આ ટ્રાયલ્સનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હતો અને તેનું આમાં મહત્વનું યોગદાન રહ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકોરોનાના કેસનો આંકડો બે દિવસમાં બમણો થઈ ગયો