મહાત્મા ગાંધીજીની સમાધિ રાજઘાટ પહોંચી વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પી

75

નવીદિલ્હી,તા.૩૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૭૪મી પુણ્યતિથિ પર દિલ્હીના રાજઘાટ પહોંચ્યા. અહીં તેમણે પૂજ્ય બાપુની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને યાદ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના આદર્શ વિચારોને અને હજુ વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયત્ન છે. અત્રે જણાવવાનું કે મહાત્મા ગાંધીની ૧૯૪૮માં આજના દિવસે જ નાથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે બાપુની પુણ્યતિથિ પર તેમને યાદ કરુ છું. તેમના આદર્શ વિચારોને અને હજુ વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયત્ન છે. તેમણે કહ્યું કે આજે શહીદ દિવસ પર તે તમામ મહાન લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે વીરતાપૂર્વક આપણા દેશની રક્ષા કરી. તેમની સેવા અને બહાદુરી હંમેશા યાદ આવશે. અત્રે જણાવવાનું કે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે દિલ્હીના બીરલા હાઉસમાં મહાત્મા ગાંધી હતા. આ દરમિયાન સરદાર પટેલ સાથે બેઠક કરીને તેઓ બહાર નીકળ્યા. લગભગ સાંજે સવા ૫ વાગે ગાંધીજી પ્રાર્થના કરવા માટે નીકળ્યા હતા. ગાંધીજી સાથે આભા અને મનુ પણ હતા. ત્યારે અચાનક નાથુરામ ગોડસે ગાંધીજી સામે આવ્યા. નાથુરામ ગોડસેએ પહેલા મહાત્મા ગાંધીને નમસ્તે કર્યું. ત્યારબાદ ગાંધીજીને ૩ ગોળીઓ મારી હતી. બે ગોળી ગાંધીજીના શરીરને પાર કરી ગઈ હતી જ્યારે એક ગોળી ફસાઈ ગઈ હતી. મહાત્મા ગાંધીનું ઘટનાસ્થળે જ નિધન થઈ ગયું હતું

Previous articleઅમર જવાન જ્યોતિની જેમ આપણા શહીદોનું યોગદાન પણ અમર છે : મોદી
Next articleસબ-વેરિએન્ટ BA.2 એ લોકોને ઝડપથી ચપેટમાં લઇ રહ્યો છે