જાતિ પર મત માંગનારા પોતાના પરિવારનું ભલું કરે છે : મોદી

83

બિજનૌર,તા.૭
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુલી રેલીના માધ્યમથી બિજનૌર, મુરાદાબાદ અને અમરોહાના લોકોને સંબોધન કર્યું. જોકે અગાઉ પીએમ મોદી બિજનૌરમાં ફિઝિકલ રેલી કરવાના હતા પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેમનો બિજનૌર પ્રવાસ રદ કરી દેવાયો. પીએમ મોદીએ કહ્યું કે ભાજપમાં કોઈ ભાઈ ભત્રીજાવાદ નથી. જ્યારે કોઈને પીએમ આવાસ આપવામાં આવે છે તો તેને જાતિ પૂછવામાં આવતી નથી. જ્યારે કોઈને ઉજ્જવલા યોજનામાં સિલિન્ડર મળે તો તેને પૂછવામાં નથી આવતું કે કયા સમાજથી છે, તેઓ કોનો પુત્ર છે. સપા અને આરએલડી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું કે જાતિના નામ પર મત માંગનારા ફક્ત પોતાના પરિવારનું ભલુ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આવનારા ૨૫ વર્ષમાં જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થઈ જાય ત્યારે યુપી વિકાસની સોનેરી ગાથા સાથે પરમચ લહેરાવે. અમારી સરકાર સતત એ કોશિશમાં લાગી છે. ગત ૫ વર્ષમાં શેરડીના ખેડૂતોને દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુ ચૂકવણી કરાઈ છે. આટલી તો છેલ્લી ૨ સરકારોએ મળીને પણ કરી નથી. પહેલા નકલી સમાજવાદીઓની જ બોલબાલા હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૌધરી ચરણ સિંહના આદર્શોને અપનાવતા તમામ ખેડૂતોને સન્માન આપવું એ જ અમારું લક્ષ્ય છે. પહેલા યુરિયાના ખેડૂતો લાઠી ખાતા હતા, જે લોકોએ ખેડૂતોને એવા દિવસો દેખાડ્યા તેઓ ખેડૂતોનું ક્યારેય ભલુ કરી શકે નહીં. તેમણે કહ્યું કે પહેલાની સરકારમાં ઘઉની જેટલી ખરીદી થઈ હતી, સીએમ યોગીએ તેનાથી બમણા ઘઉ ખરીદ્યા છે. અનાજની ખરીદીમાં સીએમ યોગીની સરકારે દર વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા. તમને યાદ હશે કે પહેલા વીજળીના અભાવમાં યુવાઓનું ભવિષ્ય રગદોળવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે ગામડે ગામડે વીજળી આવી રહી છે. પહેલા ગણતરીના એક્સપ્રેસ વે હતા પરંતુ આજે અનેક એક્સપ્રેસ વે બનીને તૈયાર થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે અપરાધીઓ ઈચ્છે છે કે કોઈ પણ રીતે જૂની માફિયારાજવાળી સરકાર પાછી આવી જાય. જે અપરાધીઓ યુપી છોડીને ભાગી ગયા હતા તેઓ આશા લગાવીને બેઠા છે કે ભાજપ સરકાર જાય તો તેઓ અહીં આવે. આ લોકો જાતપાતના નામે ભાગલા કરીને ભાજપને રોકવા માંગે છે. તેમણે કહ્યું કે હું તમને સાવધાન કરવા માંગુ છું કે આ ખેલથી બચો. માત્ર કમળનું નિશાન જુઓ. જો તેઓ આવી જશે તો ગુંડાઓના સપના પૂરા થઈ જશે. જ્યારે મત આપવા જાઓ તો ધ્યાન રાખો કે તમે દેશ માટે મત આપી રહ્યા છો. યુપી વગર દેશનો વિકાસ શક્ય નથી. છેલ્લી અનેક ચૂંટણીમાં તમે એ સાબિત કર્યું છે. તમારો જોશ જણાવે છે કે તમે એકમત થવાનો નિર્ણય લીધો છે. બિજનૌરની રેલીમાં સીએમ યોગીએ કહ્યું કે ૫ વર્ષ પહેલા તોફાનો અને અપરાધ પશ્ચિમ યુપીની નિયતિ હતા. પરંતુ આજે માફિયાઓ જીવ બચાવવાની ભીખ માંગી રહ્યા છે. તેઓ કહે છે કે અમે ઠેલો ચલાવશું પણ અપરાધ નહીં કરીએ. પીએમ મોદીએ કહ્યું કે ગત સરકારોએ ગરીબની ચિંતા ક્યારેય નથી કરી. ગરીબ તેમના માટે હંમેશા રાજનીતિનું માધ્યમ રહ્યા. આયુષ્યમાન ભારત દ્વારા અમારી સરકારે સારવાર માટે તેમને ચિંતામુક્ત કર્યા છે. અત્રે જણાવવાનું કે યુપી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી મોદી આજે પહેલી ફિઝિકલ રેલી કરવાના હતા. પરંતુ મૌસમે સાથ આપ્યો નહીં. બિજનૌર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ હોવાના કરાણે પ્રવાસ રદ કરવો પડ્યો. પીએમ મદોીની આ વર્ચ્યુઅલ રેલી માટે નઝીબાબાદ, નગીના, બઢાપુર, ધામપુર, નહટૌર, ચાંદપુર અને નૂરપુર વિધાનસભામાં પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ મુરાદાબાદ જિલ્લાની કાંઠ, ઠાકુરદ્વારા, મુરાદાબાદ ગ્રામીણ, મુરાદાબાદ, કુંદરકી, બિલારી વિધાનસભાઓમાં વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવ્યું. અમરોહના ધનૌરા, નૌગાંવા સાદાત, અમરોહા શહેર અને હસનપુરમાં પણ પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલીનું પ્રસારણ કરવામાં આવ્યું. આ તમામ જિલ્લાઓના ૭૫ મંડળોમાં કાર્યક્રમનું પ્રસારણ એલઈડીના માધ્યમથી કરવામાં આવ્યું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૮૩ હજાર ૮૭૬ નવા કેસ