યુક્રેનથી ૨૪૨ ભારતીયોને લઇને સ્વદેશ પહોંચ્યું વિમાન

64

અમેરિકા સહિત પશ્ચિમ દેશોના અનુમાન મુજબ રશિયાની સેના યુકેન પર આક્રમણ શરૂ કરી શકે છે
નવી દિલ્હી, તા.૨૩
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણાકારાં વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પૈકી ૨૪૨ નાગરિકોને લઇને એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ રાજધાની દિલ્હીના આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ લેન્ડ થયુ હતું. કેન્દ્ર સરકારે યુદ્ધના ભય વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ માટે ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ આગળ આવીને ૧૯ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે, ૨૨, ૨૪ અને ૨૬ ફેબ્રુઆરીએ એરલાઈન યુક્રેનથી ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે ફ્લાઈટનું સંચાલન કરશે. જે પૈકી આજે ૨૨મી ફેબ્રુઆરીએ સવારે સાડા સાત વાગ્યે એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭એ દિલ્હી એરપોર્ટ પરથી યુક્રેન માટે ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ અતિ ગંભીર બની ચૂકી છે. અને અમેરિકા સહિત પશ્ચિમ દેશોના અનુમાન મુજબ રશિયાની સેના યુકેન પર આક્રમણ શરૂ કરી શકે છે. એવામાં યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો સહિત અન્ય વિદેશી નાગરિકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ છે. જોકે આ મુદ્દે કીવમાં સ્થિત ઈન્ડિયન એમ્બેસીએ મંગળવારે પણ એડવાયઝરી જાહેર કરતાં ભારતીયોને સંપર્કમાં રહેવા અને અસ્થાયી સમય માટે યુક્રેન છોડી દેવાની સલાહ આપી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો પૈકી બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. જેમાંથી મોટાભાગના મેડિકલ સ્ટુડન્ટ્‌સ છે. એર ઈન્ડિયાના વિમાને આ પહેલા યુક્રેન માટે ક્યારેય ઉડાન ભરી નથી, પરંતુ આ સંકટ સમયે યુક્રેનમા ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે લીધેલા નિર્ણયને આધિન એર ઈન્ડિયાના બોઈંગ જેટ યુક્રેન જશે અને ત્યાંથી ભારતીયોને લઇને સ્વદેશ પાછી ફરશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફંસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા લાવવા માટે અભિયાન શરૂ કરતાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું સંચાલન કર્યું છે. રિપોર્ટ મુજબ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સાથે વિમાન મંગળવારની રાતે આશરે ૧૦.૩૦ વાગ્યે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પરત ફરવાનું હતું, પરંતુ કોઈ કારણોસર ફ્લાઈટ મોડી પડી હતી. આ ફ્લાઇટે દિલ્હીથી સવારે સાડા સાત વાગ્યે યુક્રેન માટે ઉડાન ભરી હતી. જે યુક્રેનના કીન સ્થિત એરપોર્ટ પર આશરે ૩ વાગ્યે પહોંચ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે વધતાં તણાવને કારણે ભારત સરકારે નાગરિકોને સ્વદેશ પાછા આવવા માટે સલાહ આપી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનું કહેવુ છે કે, યુક્રેનમાં ફંસાયેલા ભારતીયોએ ડરવાની જરુર નથી. ભારત સરકારે એડવાયઝરી જાહેર કરી છે અને યુક્રેનમાં રહેતા બધા ભારતીયો ઈન્ડિયન એમ્બેસીના સંપર્કમાં રહે. ઈન્ડિયન એમ્બેસીએ પણ અત્યાર સુધી ૩ વાર એડવાયઝરી જાહેર કરીને ભારતીયોને યુક્રેન છોડી દેવાની સલાહ આપી હતી. આ માટે ઈન્ડિયન એમ્બેસીએ એના ટ્‌વીટર, ફેસબુક, વેબસાઈટને ફોલો કરવા માટે કહ્યું હતુ, જેથી આ સંદર્ભે જાહેર સૂચનાને યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સુધી જલ્દી પહોંચાડી શકાય.

Previous articleહવાલા મારફતે નાણાં ચીન મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
Next articleમહુવામાં પરણીતાએ ગળાફાંસો ખાધો