યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં ભગવો લહેરાયો, પંજાબમાં આપ

59

યુપીમાં ભાજપને ૨૦૧૭ કરતા ઓછી બેઠક પણ સત્તા જાળવી રાખી, કોંગ્રેસે પંજાબમાં સત્તા ગુમાવી દીધી, પંજાબમાં ભગવંત માન નવા મુખ્યમંત્રી બનશે
નવી દિલ્હી, તા.૧૦
ભાજપે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ૪ રાજ્યોમાં વાપસી કરી છે. જો કે યુપી અને ઉત્તરાખંડમાં સીટોના મામલે ભાજપને નુકસાન થયું છે. પરંતુ યુપીમાં જે જોરદાર ટક્કરની વાત કરવામાં આવી રહી હતી તે કદાચ જોવા મળી નથી. પરંતુ જો આ ચૂંટણીઓમાં મેન ઓફ ધ મેચની વાત કરીએ તો પંજાબમાં બમ્પર જીત મેળવનાર આમ આદમી પાર્ટી (આપ)નું નામ આવશે. ઉત્તર પ્રદેશમાં મળતા અહેવાલો મુજબ ૪૦૩ બેઠકમાંથી ૨૫૬ ભાજપને, સમાજવાદી પક્ષને ૧૧૦, કોંગ્રેસને બે, બહુજન સમાજવાદી પક્ષને એક અને અન્યોને ૩૪ બેઠક મળી છે. આમ, ભાજપને રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મળતાં તેની સરકાર રચાશે. ભાજપે ભલે ૪-૧થી મેચ જીતી હોય પરંતુ આ જીતમાં જો કોઈ સૌથી મોટો વિજેતા હોય તો તે આપ જ છે. ચૂંટણીઓ પૂરી થયા પછી આપ પાર્ટીને લગભગ તમામ એક્ઝિટ પોલમાં મોટી જીતના દાવેદાર તરીકે દર્શાવવા આવી હતી. રાજ્યની જનતાએ પણ ખુલ્લેઆમ આપને મત આપ્યો. ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહ, નવજોત સિંહ સિદ્ધુ, સુખબીર સિંહ બાદલ જેવા મોટા દિગ્ગજ નેતાઓ પણ આપના વાવાઝોડામાં ધરાશાયી થઈ ગયા. આપના ભગવંત માન રાજ્યના આગામી સીએમ હશે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે આપ ૯૨ બેઠકો જીતતી જોવા મળી રહી છે. પંજાબમાં કોંગ્રેસને ૧૮, અકાલી દળને ૩, ભાજપને બે અને અન્યને ૨ બેઠક જ મળી શકી છે. પંજાબની ચૂંટણીમાં લોકોએ આપને ભારે મતદાન કર્યું છે. ૪૨ ટકાથી વધુ લોકોએ આપને વોટ આપ્યા છે. તે જ સમયે શિરોમણિ અકાલી દળ (એસએડી)ને ૧૮ ટકા વોટ મળ્યા છે જ્યારે ૨૨ ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે. સત્તાધારી કોંગ્રેસને માત્ર ૧૮ બેઠકો જ મળતી જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને મોટી રાહત મળી છે. રાજ્યમાં ભાજપ સતત બીજી વખત સત્તા પર આવી રહ્યું છે. યોગી આદિત્યનાથની કડક છબી. ગુનેગારો સામે કાર્યવાહી, મહિલા સુરક્ષા અને ગરીબોને રાશન યોજનાનો લાભ મળ્યો. જો કે ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીમાં ભાજપને સીટોના મામલે ઘણું નુકસાન થયું છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૧૨ બેઠકો મળી હતી. જોકે આ વખતે સીટો ઘણી ઓછી છે. ઉત્તરાખંડમાં બીજેપી સતત બીજી વખત સરકાર બનાવી રહી છે. ભાજપે ચૂંટણીના થોડા મહિના પહેલા રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો હતો. ભાજપ પુષ્કર સિંહ ધામીના ચહેરા સાથે મેદાનમાં ઉતર્યું હતું. રાજ્યની જનતાએ અહીં ભાજપને ફરીથી ચૂંટવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભાજપને બમ્પર વોટ મળ્યા છે. લગભગ ૪૪ ટકા લોકોએ ભાજપને વોટ આપ્યો છે. તેના ફાળે ૭૦માંથી ૪૮ બેઠકો ગઈ છે. કોંગ્રેસ માટે અહીંથી ખૂબ જ નિરાશાજનક સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસને ૩૯ ટકા વોટ મળ્યા છે પરંતુ માત્ર ૧૮ બેઠકો જ જોવા મળી રહી છે. અન્યોને ચાર બેઠક મળી શકી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ સમય આવી ગયો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર ગઈ ત્યાં ઉત્તરાખંડમાં તમામ પ્રયાસો છતાં કોંગ્રેસ સત્તામાં આવી શકી નથી. યુપીમાં પણ કોંગ્રેસે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. પ્રિયંકા ગાંધીએ યુપીમાં પુરી તાકાતથી પ્રયાસ કર્યો પરંતુ તેમની મહેનતનું કોઈ પરિણામ ન આવ્યું. મણિપુરમાં પણ ભાજપ સત્તા જાળવી છે ૬૦ બેઠકોમાંથી ભાજપે ૩૨ બેઠક પર કબજો જમાવ્યો છે જ્યારે કોંગ્રેસને અહીં માત્ર ૫ બેઠક મળી છે અને એનપીપીને ૭ જ્યારે અન્યોને ૧૬ બેઠક મળી છે. ગોવામાં પણ ભાજપની જ સરકાર બનશે એ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપને અહીં ૨૦ બેઠક મળી છે જ્યારે કોંગ્રેસને અહીં પણ બહુ મોટો માર પડ્યો છે અને તેને ૧૧ બેઠક મળી શકી છે જ્યારે આપ ને ૨ અને તૃણમુલ કોંગ્રેસને ૨ તથા અન્યોને પાંચ બેઠક મળી શકી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપેટ્રોલ-ડીઝલનો હાલમાં રાજ્ય અને ભારતમાં સીમિત સ્ટોક