આજે કદમગીરી ગામે કમળાઈ માતાજીનાં મંદિરે પરંપરાગત કમળા હોળીની ઉજવણી કરાશે

277

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવે છે : આ દિવસે નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે
પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક કોળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રવિવાર કમળા હુતાસણી ઉજવણી કરાઇ છે. આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા. જ્યાં આજે કમળા હુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવનગર જીલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. હોળી ધૂળેટીના તહેવારો શરુ થઈ ગયા છે જેમાં હોળીનો આગળનો દિવસ કમળા હુતાસણીનો દિવસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કદમગીરી ડુંગર ઉપર કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાર બાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે.

અહી કમળાઈ માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાસણીની ઉજવણી કરવા માંટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજુર-દાળિયા-પતાસા ની આહુતિ આપી અને હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે. કમળા હુતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે, વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદી ૧૪ને દિવસે અગ્નિજયોતમાં પોતાનુ પરિવર્તન કર્યુ તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે. પણ ૬૦-૭૦ વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ ગામ ગુજરાતના ૨૨૨ રજવાડાનું એક ગામ છે જેમના તાલુકદાર દરબાર વાજસુર રાવત કામળિયાના અનેક ધામિર્ક અને સામાજિક કાર્યની ધરોહર છે. અહીં આવેલા આણંદજી કલાયણજી પેઢીને જે તે સમયે ગામના વિકાસ અર્થ જમીન પણ આ ગામના રાજવીઓએ દાનમાં આપેલા. ગામનુ નામ બદલાયુ પણ પહાડનુ નામ એનુ એજ છે. કદમવાસીની દેવીનુ તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. આ દેવીની મુર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે. આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસબાપા આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. તેજ આ પહાડ સંસ્કૃતમાં કૌલંબા કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોળંબો કહે છે.
આ કમળાઈ માતાજી કામળિયા દરબારો અને બીજી અન્ય ઘણી કોમના કુળદેવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, કામળિયા દરબારોના બાર ગામો છે અને મહત્વની નોંધવા જેવી બાબત અહીં ૧૬મી સદીમાં માતંગદેવ અહીં દર્શન અર્થે આવેલા કચ્છથી તે અખાત્રીજના દિવસે અહીં આવેલા જેથી અહીં દર વર્ષે અખાત્રીજ અહીં મેળો પણ ભરવામાં આવે છે. એમની યાદ માં આ ઉપરાંત ૧૮ વર્ણ આ માતાજી ને માને છે. આ માતાજી નું જ્યાં સ્થાનક છે તે ડુંગર ને કોલંબો ડુંગર તરીકે ઓળખાય છે અને મહત્વ ની વાત એ છે કે અહીં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે છેક મુંબઇ સુધીના લોકો થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન પણ થાય છે આ ઉપરાંત આ પર્વ કામળિયા દરબારો અને કામળિયા સોરઠીયા આહીરો અને કામળિયા ગોર માટે અતિ મહત્વનું હોય છે. નવદંપતી અહીં ફરજીયાત દર્શન કરી હોળી ફરતા આંટા લે છે અને એમના ભાણેજ પણ આ પરંપરાને નિભાવે છે. આ ઉપરાંત ૩૬૫ દિવસ અહીં સતત અન્નસક્ષેત્ર(ભોજન) ચાલુ રહે છે. આ સમગ્ર આયોજન કાઠી ક્ષત્રીય સમાજ યુવા ગ્રુપ, કામળિયાવાડ અને કમળાઈ શક્તિ પીઠના ટ્રસ્ટ દ્રારા આયોજન કરવામાં આવે છે.

Previous articleધો- ૧૦ અને ધો- ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચ થી ૧૨ એપ્રિલ સુધી યોજાશે
Next articleમોટા આસરાણા ગામે જુગારની બાજી માંડીને બેઠેલા ૫ બાજીગરો ઝડપાયા