PF ખાતાથી લઈ GST ના પણ નિયમો આજથી બદલાશે

190

નવા નાણાંકીય વર્ષમાં અનેક નિયમોમાં ફેરફાર થશે : ઈપીએફ ખાતામાં ૨.૫ લાખથી વધુ રાખવામાં આવશે તો ખાતાધારકે વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે
નવી દિલ્હી, તા.૩૧
સામાન્ય રીતે દર માહિનાની પહેલી તારીખે કોઈને કોઈ નાના મોટા ફેરફારો જોવા મળે જ છે. માર્ચ મહિનો પૂરો થવામાં જ છે અને એક એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરુ થવા જઈ રહ્યું છે. આવામાં મહિનાની શરૂઆત મોટા ફેરફારો સાથે થશે. એમાં જ્યાં એક તરફ પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમો બદલાઈ જશે. તો બીજી બાજુ ક્રિપ્ટોમાં રોકાણ કરનાર પર ટેક્સ લગાવાશે. એટલું જ નહી, એક એપ્રિલથી મોંઘવારીનાં મોરચા પર પણ લોકોને ઝટકો લાગવાનો છે. તો આવા નાના મોટા બદલાવો પર નજર ફેરવીએ, જે તમને સીધા પ્રભાવિત કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ ૧ એપ્રિલથી આવકવેરા (૨૫મો સુધારો) નિયમો, ૨૦૨૧ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા ઈપીએફખાતામાં માત્ર ૨.૫ લાખ રૂપિયા જ નાખો છો, તો તે ટેક્સ ફ્રી રહેશે. જો તમે આનાથી વધુ પૈસા મુકો છો, તો તમારે કમાયેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. ૧ એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ૧ એપ્રિલથી લાગુ થતા નિયમો હેઠળ હવે ગ્રાહકોએ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. આ સાથે, નાની બચતમાં જમા રકમ પર અગાઉ જે વ્યાજ મળતું હતું, તે હવે પોસ્ટ ઓફિસના બચત ખાતા અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે, પહેલાથી અસ્તિત્વમાં છે, તે બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતાને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીની આવક પર ટેક્સ ૧ એપ્રિલથી લાગુ થશે. નાણાકીય વર્ષની શરૂઆત સાથે, આવક પર ૩૦% ટેક્સ લાગુ થશે, જ્યારે ૧ ટકાનો ટીડીએસ ૧ જુલાઈ, ૨૦૨૨ થી લાગુ થશે. આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે રજૂ કરેલા બજેટમાં સ્પષ્ટ કર્યું હતું કે ક્રિપ્ટો એસેટ્‌સથી થતી કમાણી પર કેટલો ટેક્સ લાગશે. આઈટીએક્ટ હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવતા વ્યક્તિઓ/એચયુએફમાટે, ટીડીએસમર્યાદા વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ હશે. જો ક્રિપ્ટોમાં નફો થશે તો સરકારને ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ તેનાથી વિપરિત, જો તમારી પાસે કોઈપણ ડિજિટલ એસેટમાં ખોટ છે, તો તમે તમારા નફા સાથે તે નુકસાન સેટ-ઓફ મેળવી શકશો નહીં. ઉદાહરણ તરીકે જો તમે બે ડિજિટલ એસેટ્‌સ બિટકોઈન અને શિબા ઈનુ ખરીદો છો. બિટકોઈનમાં ૧૦૦ રૂપિયાનો નફો કરો અને શિબા ઈનુમાં ૧૦૦ રૂપિયા ગુમાવો. આ કિસ્સામાં, તમારે બિટકોઈન (રૂ. ૧૦૦) થી થયેલા નફા પર ૩૦% આવક વેરો ચૂકવવો પડશે. બદલામાં, તમે શિબા ઇનુમાં ગુમાવેલા ૧૦૦ રૂપિયા તમારા હશે. તમે બિટકોઈનમાંથી થયેલા નફા સાથે તે નુકસાનને સેટ-ઓફ કરી શકશો નહીં. જ્યારે ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે સેટ ઓફનો વિકલ્પ છે. સામાન્ય માણસોને દવાઓ પર ખર્ચ વધવાનો છે. મોંઘવારીની મારથી પરેશાન લોકો માટે એક એપ્રિલથી દવાઓ ખરીદવી મોંઘી થઇ જશે. રિપોર્ટ અનુસાર, ૮૦૦ આવશ્યક દવાઓની કિંમતોમાં ૧૦.૭ ટકાનો વધારો થવાનો છે. આમાં તાવની દવા પેરાસીટામોલ પણ સામેલ છે.દર મહિનાની જેમ એપ્રિલનાં પહેલા દિવસે પણ ગેસ સીલીન્ડરનાં ભાવમાં બદલાવ થઇ શકે છે. જે પ્રકારે દેશમાં પેટ્રોલ – ડીઝલનાં ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, સંભાવના જતાવવામાં આવી રહી છે કે એક વાર ફરી ગેસ સીલીન્ડરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. એપ્રિલથી ઘર ખરીદવું મોંઘુ થઈ જશે. કેન્દ્ર સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને કલમ ૮૦ઈઈએહેઠળ ટેક્સ છૂટનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી ૧.૫ લાખનો ફાયદો થતો હતો.
પહેલી એપ્રિલ બાદ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ચેક, બેન્ક ડ્રાફ્ટ જેવા ભૌતિક માધ્યમોનો ઉપયોગ નહીં થઈ શકે. મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં જમા કરવા માટે હવે યુપીઆઈ અથવા નેટનો ઉપયોગ કરવો પડશે. સીબીઆઈસીએ જીએસટી હેઠળ ઈ ચલણ ઈશ્યુ કરવા માટે ટર્નઓવરની મર્યાદા પહેલાં રુ. ૫૦ કરોડની હતી તેને ઘટાડીને પહેલી એપ્રિલથી ૨૦ કરોડ કરી દીધી છે.

Previous articleસેન્સેક્સમાં ૧૧૫, નિફ્ટીમાં ૩૩ પોઈન્ટનો કડાકો નોંધાયો
Next articleગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બેંસલાનું અવસાન