રશિયા પાસેથી ભારત જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઓઇલ ખરીદી રહ્યું છે

205

જો તમે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત કરો છો, તો હું કહેવા માંગુ છું કે તમારે તમારું ધ્યાન યુરોપ પર પણ કેન્દ્રિત કરવું જોઈએ
વોશિંગટન,તા.૧૨
ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર ૧૧ અને ૧૨ એપ્રિલનાં ૨ ૨ મંત્રી સ્તરની વાતચીત માટે વોશિંગટનમાં છે. રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે પશ્ચિમી દેશ રશિયા પાસેથી ઓઇલની ખરીદી પર ભારતને ઘેરી રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ દેશોને કડક જવાબ આપ્યો છે. એસ જયશંકરે કહ્યું કે, રશિયા પાસેથી ભારત પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઓઇલ ખરીદી રહ્યું છે. જો ધ્યાનથી જોઇએ તો, ભારત એક મહિનામાં જેટલું ઓઇલ આયાત કરે છે તેટલું યૂરોપ દરરોજ રશિયામાંથી આયાત કરે છે. એસ. જયશંકરે કહ્યું કે, ’જો તમે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત કરો છો, તો હું કહેવા માંગુ છું કે તમારે તમારું ધ્યાન યુરોપ પર પણ કેન્દ્રિત કરવું જોઈએ. અમે ઇંધણની માંગની સલામતી માટે ઓઇલનો અમુક ભાગ આયાત કરીએ છીએ. પરંતુ જો આપણે એક મહિનાના આંકડા જોઈએ તો યુરોપ દરરોજ બપોરે જેટલું તેલ ખરીદે છે તેટલું તેલ આપણે એક મહિનામાં ખરીદીએ છીએ.’ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર એસ જયશંકરે કહ્યું ટૂંકમાં, અમે આ યુદ્ધની વિરુદ્ધ છીએ. અમે સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે હિંસા તાત્કાલિક બંધ થાય. લક્ષ્ય હાંસલ કરવા માટે અમે આ દિશામાં યોગદાન આપવા માટે દરેક રીતે તૈયાર છીએ. આ પહેલા અમેરિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી, ત્યારબાદ વ્હાઇટ હાઉસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું કે રશિયાથી ઇંધણની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને કોઈપણ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું નથી. અમે સમજીએ છીએ કે તમામ દેશોએ તેમના હિતોનું રક્ષણ કરવું પડશે. રશિયાએ અત્યાર સુધીમાં માત્ર માર્ચ મહિનામાં જ ભારતમાં દરરોજ ૩૬૦,૦૦૦ બેરલ તેલની નિકાસ કરી છે, જે ૨૦૨૧ની સરેરાશ કરતાં લગભગ ચાર ગણી છે. રિપોર્ટમાં કોમોડિટી ડેટા અને એનાલિટિક્સ ફર્મ કેપ્લરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયા વર્તમાન શિપમેન્ટ શેડ્યૂલના આધારે સમગ્ર મહિના માટે ભારતને દરરોજ ૨૦૩,૦૦૦ બેરલ વેચવા માટે કામ કરી રહ્યું છે. તે જ સમયે, યુક્રેન-રશિયાના મુદ્દા પર, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે ભારતે પોતે નક્કી કરવાનું છે કે તે આ પડકારને કેવી રીતે લે છે. અમે માનીએ છીએ કે તમામ દેશો, ખાસ કરીને જેમને રશિયાથી ફાયદો થઈ રહ્યો છે, તેમણે પુતિન પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરવું જોઈએ. આજે આપણે બધા ભેગા થઈને એક થઈને બોલીએ એ જરૂરી છે.

Previous articleદિલ્હીમાં ૭૨ વર્ષમાં પ્રથમ વખત એપ્રિલમાં ઊંચું તાપમાન નોંધાયું
Next articleઆંધ્રમાં કોણાર્ક એક્સપ્રેસની અડફેટે આવતાં ૬નાં મોત