ભારે વરસાદથી મુંબઈ પાણી-પાણી : ઓરેન્જ એલર્ટ અપાયું

3

મુંબઈમાં શુક્રવાર સુધી ભારે વરસાદની હવામાન વિભાગ આગાહી, જનજીવન ખોરવાયું, બસ-ટ્રેન સેવા પ્રભાવિત,NDRFની ટીમો તૈનાત
મુંબઈ,તા.૫
માયાનગરી મુંબઈમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તેમનું કહેવુ છે કે કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી ભારે વરસાદની ઝપટમાં છે. વિભાગનુ કહેવુ છે કે આ આખુ અઠવાડિયુ મુંબઈમાં વરસાદ પડશે. જ્યારે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતુર, જાલના, પરભણી ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે તમામ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારે વરસાદને કારણે નવી મુંબઈ અને અંધેરી સબવે અંધેરી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઑફિસ જનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિભાગનુ કહેવુ છે કે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આખા અઠવાડિયે વરસાદનો આ સિલસિલો ચાલુ રહેશે આઇએમડી મુજબ કોંકણ ક્ષેત્રમાં ૮ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મુંબઈના દહિસરમાં ભારે વરસાદને કારણે ચેકનાકા પાસેનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યારે નવી મુંબઈથી કલ્યાણ અને નાલાસોપારા સુધીના લોકોને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. નવી મુંબઈમાં રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા જ લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે. રેલવે સ્ટેશનની બહાર ઘણું પાણી જોવા મળ્યું હતું. કલ્યાણ લોમ્બાવલીમાં વરસાદને કારણે આસપાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. નાલાસોપારામાં પણ સ્થિતિ વણસી છે. માર્ગો પર પાણી ભરાવાના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને કોંકણ વિસ્તારમાં દ્ગડ્ઢહ્લઇ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હોય છે કે જાણે તે બધું જ લઈ જવા માટે તલપાપડ હોય. મુંબઈને અડીને આવેલા ભિવંડીમાં આખું બજાર વરસાદના પાણીમાં ગરકાવ જોવા મળ્યું હતું.
લોકોનો આક્ષેપ છે કે, મનપા દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતી નથી તેથી લોકોને વરસાદના દિવસોમાં આવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ભોગવતી નદીના પાણીથી નીચાણવાળા વિસ્તારો ડૂબવા લાગ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે કોંકણ ક્ષેત્રના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોના સંપર્કમાં છે જેથી આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન ન થાય. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મુંબઈની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ ચેતવણીના સ્તરે પહોંચી ગઈ છે. કુંડલિકા નદી ચેતવણીનું સ્તર વટાવી ગઈ છે. અંબા, સાવિત્રી, પાતાળગંગા, ઉલ્હાસ અને ગઢી નદીઓનું જળસ્તર ચેતવણીના સ્તરથી થોડું નીચે છે. આ ઉપરાંત જગબુડી અને કાજલી નદીનું પાણી એલર્ટ લેવલ પર વહી રહ્યું છે. મુખ્યમંત્રીએ ચિપલુણની સ્થિતિ પર નજીકથી નજર રાખવા અને નાગરિકોને વારંવાર ચેતવણી આપવા પણ સૂચના આપી હતી.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રાયગઢ જિલ્લામાંથી ૧૫૩૫ લોકોને બચાવી લેવાયા છે. રાયગઢ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની ટીમો તૈનાત છે. ભારે વરસાદને કારણે ટ્રેન અને રોડ ટ્રાફિકને ભારે અસર થઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં ખોરવાઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રેક પર પૂરના કારણે કેટલાક રૂટ પર ટ્રેન અને બસ સેવાને અસર થઈ છે. ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. મધ્ય રેલવે ૫-૧૦ મિનિટ મોડી દોડી રહી છે. હાર્બર લાઇન પર પણ ટ્રેનો ૫-૧૦ મિનિટ મોડી ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા ૧૨ કલાકમાં ૯૫.૮૧ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઓરિસ્સાના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગનુ કહેવુ છે કે બાંગ્લાદેશ અને પડોશી વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્‌યુલેશન ચાલુ છે. તેના પ્રભાવ હેઠળ આગામી ૪૮ કલાક દરમિયાન ઉત્તર ઓરિસ્સામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેથી હવામાન વિભાગે આજે ૨૪ જિલ્લાઓ માટે ’યલો એલર્ટ’ અને આગામી ૨૪ કલાક માટે આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારતના ૧૦ રાજ્યમાં મળ્યા નવા વેરિએન્ટના કેસ