હિન્દી ફિલ્મી પ્રેમીઓ માટે ચોંકાવનારા સમાચાર છે. કારણ કે કપુર પરિવારે લોકપ્રિય અને ઐતિહાસિક આરકે સ્ટુડિયોને વેચી દેવાનો નિર્ણય કર્યો છે. ૭૦ વર્ષ પહેલા બનેલા આ ઐતિહાસિક સ્ટુડિયોમાં ગયા વર્ષે ભીષણ આગ લાગી ગઇ હતી. જેના કારણે તેના એક મોટા હિસ્સાને નુકસાન થયુ હતુ. કપુર પરિવારના લોકોને હવે લાગે છે કે આર્થિક દ્રષ્ટિથી રિનોવેશન કરાવવાની બાબત યોગ્ય નથી. શૌ મેન રાજકપુરે વર્ષ ૧૯૪૮માં મુંબઇના ઉપનગરીય ક્ષેત્રમાં ચેમ્બુરમાં આની સ્થાપના કરી હતી. રાજકપુરની કેટલીક અમર ફિલ્મોનુ નિર્માણ આ સ્ટુડિયોમાં કરવામાં આવ્યુ હતુ. પરિવાર તરફથી હવે રિશિ કપુરે કહ્યુ છે કે આ નિર્ણયને લઇને તેઓ ખુબ ઇમોશનલ છે. રિશિ કપુરે કહ્યુ છે કે અમે આને લઇને ખુબ અટેચ છીએ. પરંતુ આવનાર પેઢીને લઇને કોઇ વાત કરી શકાય નહી. રિશીએ કહ્યુ હતુ કે છાતી પર પથ્થર મુકીને સ્ટુડિયો વેચવાનો નિર્ણય કરી રહ્યા છીએ. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે ૧૬મી સપ્ટેમ્બરના દિવસે સ્ટુડિયોમાં સુપર ડાન્સરના સેટ પરભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોરને ભારે નુકસાન થયુ હતુ. જો કે આગની ઘટનામાં કોઇને નુકસાન થયુ ન હતુ. શરૂઆતમાં રિશિ કપુરે સ્ટુડિયોને ફરી તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આધુનિક ટેકનોલોજી સાથે તેને ફરી તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે આ નિર્ણય બદલી દેવામનાં આવ્યો છે. રિશી કપુરે ઇચ્છા વ્યક્ત કરી હોવા છતાં મોટા ભાઇ રણધીર કપુરે રિનોવેશનને લઇને ઇન્કાર કર્યો હતો. રણધીર કપુરે કહ્યુ છે કે અમે ચોક્કસપણે આરકે સ્ટુડિયો વેચી દેવાનો નિર્ણય કરી ચુક્યા છીએ. આ સ્ટુડિયો વેચાણ માટે ઉપલબ્ધ છે.

















