પોસ્ટ પેમેન્ટ બેન્કથી દેશમાં નવી જ ક્રાંતિ સર્જાશે : મોદી

1871

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શરૂઆત કરાવી હતી. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો હેતુ દેશમાં બેન્કીંગ વ્યવસ્થાને બદલવાનો રહેલો છે. બચત અને વર્તમાન ખાતા, મની ટ્રાન્સફર અને ડાયરેક્ટ બેનિફેટ ટ્રાન્સફર જેવી શ્રેણીબદ્ધ સેવાઓની ઓફર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક કરનાર છે. એક નવી શરૂઆત થવા જઈ રહી છે. બિલ અને યુટીલીટી પેમેન્ટ, એન્ટરપ્રાઈઝ અને મર્ચન્ટ પેમેન્ટ જેવી સેવાઓ પણ આપશે. દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કથી દેશના આર્થિક, સામાજિક સ્થિતિમાં જોરદાર ફેરફાર થશે. આના કારણે દેશના દરેક વિસ્તાર સુધી પહોંચી શકાશે. આ પેમેન્ટ બેન્ક બેન્કીંગ અને ડિઝિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ખેડૂતો અને વડાપ્રધાનની પાક વિમા યોજના જેવી સ્કીમો માટે પણ મદદરૂપ થનાર છે. આ તમામ સ્કીમ આના લીધે વધુ મજબૂત થશે. મોદીએ આ પ્રસંગ બેન્કીંગ સેકટરમાં બેડલોનના મુદ્દા ઉપર વાત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રિય મંત્રી મનોજ સિંહાએ કહ્યું હતું કે આઈપીપીબીના લોન્ચ સાથે હવે એક વિશ્વાસપાત્ર પોસ્ટમેન હવે બેન્કર બની જશે અને લાખો લોકોની ઈચ્છાઓને પૂર્ણ કરશે.

બેન્ક હેઠળ રહેલા ભારતીયો અને બેન્ક નહીં ધરાવતા ભારતીયોની ઈચ્છા આના કારણે પૂર્ણ થશે. આ સપ્તાહની શરૂઆતમાં જ કેબિનેટે આઈપીપીબી માટે ખર્ચમાં ૮૦ ટકાની મંજુરી આપી હતી. ૧૪૩૫ કરોડની મંજુરી આપવામાં આવી હતી. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દુરસંચાર મંત્રાલય હેઠળ આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ હેઠળ જાહેર ક્ષેત્રની કંપની તરીકે તે કામ કરશે. જેમાં ભારત સરકારની સો ટકા ઈક્વીટી હિસ્સેદારી રહેશે. તે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બેન્કીંગ અને ફાઈનાન્સીયલ સર્વિસ ઉપલબ્ધ કરાવશે. તમામ ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસની શાખાઓને જોડી દઈને ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવામાં આવશે. ૨૦૧૮ના અંત સુધી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સેવા સાથે તમામ પોસ્ટ ઓફિસની શાખાઓને જોડી દેવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેલા ૧૧ હજાર પોસ્ટમેન હવે બેન્કીંગ સેવા ઉપલબ્ધ કરાવવા લોકોના ઘરે પહોંચશે. દેશના સૌથી મોટા બેન્કીંગ નેટવર્કની આની સાથે શરૂઆત થશે. આઈપીપીબી તેના ખતાઓની સાથે ૧૭ કરોડ પોસ્ટલ સેવીંગ બેન્ક એકાઉન્ટને લીંક કરશે. આઈપીપીબી દ્વારા ત્રણ પ્રકારના બચત ખાતાની ઓફર કરવામાં આવી રહી છે. જેમાં રેગ્યુલર સેવીંગ એકાઉન્ટ, ડિઝિટલ સેવીંગ એકાઉન્ટ અને બેઝીક સેવિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. તમામ ત્રણેય ઉપર વાર્ષિક વ્યાજદર ચાર ટકા નક્કી કરવામાં આવ્યો છે. આઈપીપીબી દ્વારા વ્યક્તિગતો અને નાના કારોબારીઓ પાસેથી એક લાખ સુધી પ્રતિ ખાતા સુધી ડિપોઝીટ સ્વીકારવામાં આવશે. અન્ય બેન્કોમાં મની ટ્રાન્સફરની સુવિધા રહેશે. આ ઉપરાંત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ઉપર આધારીત ફોન અને ડીટીએચ રિચાર્જ સહિતની ૧૦૦ કંપનીઓને જોડી દેશે. ૬૫૦ શાખાઓ સાથે આની શરૂઆત થઈ છે. પોસ્ટ ઓફિસમાં સ્થિત ૩૨૫૦ પોઈન્ટ પણ રહેશે. દેશભરમાં ૬૪૮ જિલ્લામાં પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખાઓ શરૂ થઈ રહી છે. વર્ષો પહેલા લોકો ડાકિયા યા ડાક લાયા ગીત સાંભળતા હતા, જેની વિશ્વસનિયતા અકબંધ રહેતી હતી. આજે ટેકનોલોજી સાથે આ સેવા જોડાઈ રહી છે.

Previous articleસરકારી કર્મચારીઓને જન્માષ્ટમીની ભેટ, મોંઘવારી ભથ્થામાં ૨%નો વધારો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે