ભાવેણાના આંગણે ગણપતિ ઉત્સવનો જામતો માહોલ : લોકોમાં અદમ્ય ઉત્સાહ

1295

ભાવનગર શહેરના આંગણે ગરવા ગણપતિના ઉત્સવને લઈને સમગ્ર માહોલ ધર્મમય બની રહ્યો છે. ઉત્સવ પ્રારંભથી આજે ત્રણ દિવસ પસાર થયા છે ઘરે અને અન્ય સ્થળો પર એક દિવસ તથા ત્રણ દિવસની સ્થાપના બાદ વિસર્જન સંકલ્પને લઈને ભાવેણાના બોરતળાવ, જુનાબંદર તથા નિષ્કલંકના સાગરતટે લોકો ગણપતિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તથા પ દિવસ કે અગિયાર દિવસે જે આયોજકો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તે સ્થળો પર વહેલી સવારે આરતીથી શરૂ કરીને મોડી રાત સુધી વિવિધ કાર્યક્રમોની વણથંભી વણઝાર શરૂ છે. કેટલીક જાગૃત સ્વયંસેવી સંસ્થાઓ તથા ધાર્મિક મંડળો દ્વારા રકતદાન કેમ્પ સહિતના સામાજીક કાર્યક્રમોનું પણ સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે. બોરતળાવ વિસ્તારમાં જાયશ્રી ગણપતિ મિત્ર મંડળ દ્વારા ગરવા ગણેશજીની ૪ ફુટની મુર્તિની સ્થાપના કરાઈ છે અને તા. ૧૯-૯ના રોજ વિસર્જન કરવામાં આવશે. આજ રીતે કણબીવાડ નેરા યુવક મિત્ર મંડળ દ્વારા પંડાલમાં ૮ ફુટની મૂર્તિનું તા. ર૧-૯ના રોજ વિસર્જન કરાશે. શિવશક્તિ ગૃપ કાળીયાબીડ દ્વારા ૧ર ફુટની ગણનાયકની પ્રતિમા તા. ૧૮-૯ના રોજ જળ વિસર્જીત  કરાશે. એ જ રીતે મઢુલી ગૃપ ભરતનગર દ્વારા સ્થાપના કરાયેલ સાડા છ ફુટની ગણપતિ મૂર્તિ તા. ૧૭-૯ના રોજ સમુદ્ર વિસર્જન કરવામાં આવશે તદ્દઉપરાંત જશોનાથ સર્કલ સ્થિત સાગર કોમ્પલેક્ષમાં વેપારી મિત્ર મંડળ દ્વારા ૪ ફુટના ઉમાનંદનની મૂર્તિ સ્થાપવામાં આવી છે અને સાંઈ ગૃપ કુંભારવાડા દ્વારા પ ફુટના શંકર સૂતની મૂર્તિના દર્શન પુજન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

Previous articleભાવ. જિલ્લાના ૧૮૭૦ મતદાન મથકો પર ઘનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે