અસ્થાનાને રાહત : ૨૯મી સુધી ધરપકડ નહીં કરવા આદેશ

782

સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાના મામલામાં હાઈકોર્ટે અસ્થાનાને હાલમાં વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે મામલાની આગામી સુનાવણી માટે ૨૯મી ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું છે કે, ૨૯મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટર દ્વારા રાકેશ અસ્થાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવામાં આવશે. કોર્ટ એ વખતે જ આ મામલામાં કોઇ નિર્ણય કરી શકશે. ૨૯મી ઓક્ટોબર સુધી હવે અસ્થાનાની ધરપકડ થઇ શકશે નહીં. હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે.

કોર્ટે તે વખત સુધી આરોપીના મોબાઇલ અને લેપટોપ સહિત તમામ ઇલેક્ટ્રોનિક સાધનોને જપ્ત કરવાનો આદેશ કર્યો છે. આ પહેલા સીબીઆઈના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીની સામે લાંચ લેવા સહિત અનેક ગંભીર મામલા રહેલા છે. અપરાધિક કાવતરાની સાથે સાથે ભ્રષ્ટાચારના મામલા પણ છે. બીજી બાજુ રાકેશ અસ્થાનાના વકીલે કોર્ટમાં અસ્થાનાની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી.

કોર્ટે અસ્થાનાની અરજીને ફગાવી દીધી છે. લાંચના મામલામાં અસ્થાનાએ હાઈકોર્ટથી પોતાની સામે કોઇ બળપૂર્વક કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ જારી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સીબીઆઈએ રાકેશ અસ્થાનાની લાંચમાં સંડોવણીના સંદર્ભમાં એજન્સીના ડીએસપી દેવેન્દ્ર કુમારને દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યા હતા. ડીએસપી દેવેન્દ્રકુમારની ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી છે. આના ઉપર દેવેન્દ્ર કુમારના વકીલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ ડીએસપી દેવેન્દ્રકુમારની ગઇકાલે ધરપકડ કરી લીધી હતી. અધિકારીઓએ કહ્યું છે કે સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે લાંચ રૂશ્વતના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ ભ્રષ્ટાચાર મામલામાં ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવતા આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રવિવારના દિવસે તપાસ સંસ્થાએ પોતાના બે નંબરના અધિકારી સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે એફઆઈઆર દાખલ કરી હતી. સીબીઆઈએ અસ્થાનાની સાથે પોતાની એસઆઈટીના ડેપ્યુટી એસપી ઉપરાંત કેટલાકની સામે ભ્રષ્ટાચારની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો. અસ્થાના જ કુરેશ સામે તપાસની જવાબદારી સંભાળી રહ્યા હતા. બીજી બાજુ અસ્થાનાએ પોતે તેમની સામે મુકવામાં આવેલા આક્ષેપોનો ફગાવી દીધા છે. હૈદરાબાદના બિઝનેસમેન સતિષ બાબુની ફરિયાદના આધાર ઉપર સીબીઆઈના ટોપ અધિકારી અસ્થાના સામે એફઆઈઆરમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો હતો કે તેઓએ સીબીઆઈ ડિરેકટરને ગયા વર્ષે ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. સનાનું આ નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટની સામે નોંધવામાં આવ્યું હતું જે કોર્ટમાં પણ માન્ય ગણાશે. મોઈન કુરેશી પાસેથી ૫૦ લાખ રૂપિયા લેવાના મામલામાં સના પણ તપાસના ઘેરામાં છે.

Previous articleએમપી ચૂંટણી : પટવારીના વિડિયોથી કોંગ્રેસને નુકસાન
Next articleપશ્ચિમ બંગાળ : સંતરાગાછી રેલવે સ્ટેશન પર ભાગદોડ, ૨ના મોત, અનેક ઈજાગ્રસ્ત