‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અખંડ ભારતની આગવી ઓળખ બનશે : સાંસદ ડો. ભારતીબેન શિયાળ

883

બોટાદ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા યાત્રાના ત્રીજા દિવસે વિવિધ ગામોમાં એકતા યાત્રા ફરી હતી. જેનું વિવિધ ગામના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત-સન્માન કરી દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આરતી ઉતારી સરદાર પ્રત્યેની તેમની સન્માનની ભાવના પ્રગટ કરી હતી. એકતા યાત્રાના આ ત્રીજા દિવસના રૂટમાં યાત્રા સાથે સાંસદ ડો. ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા.

આ પ્રસંગે વિવિધ ગામો ખાતે યોજાયેલ સભામાં ઉદ્દબોધન કરતાં સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતુ કે, ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર વિશ્વમાં યથોચિત આદરાંજલિ આપવા માટે રાજ્ય સરકારે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિર્માણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ અખંડ ભારતની આગવી ઓળખ બની રહેશે.

તેમણે જણાવ્યું હતુ કે, વિશ્વમાં એકતા-અખંડિતતાનો સંદેશ આપવાની સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રની પ્રતીતિ કરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભારતની દ્રઢતા, ક્ષમતા અને એકતાનો વિશ્વને પરિચય થશે તથા સરદાર સાહેબની આ પ્રતિમા દેશની ભાવી પેઢી માટે પ્રેરણાા રુપ બની રહેશે.

આ એકતા યાત્રાના સબંધિત ગામમાં આગમન પ્રસંગે એકતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન તથા પૂજા-આરતી વગેરે કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ શો – સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનથી લોકોને માહિતગાર કરવા તેમના જીવન – કાર્યોને આલેખતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

Previous articleથોરડી ગામે કરીયાણાની દુકાનમાં વિકરાળ આગ
Next articleપાન મસાલાની દુકાન પર ચેકીંગ