મંદિર નિર્માણ પહેલા પ્રતિમા માટેની યોગી જાહેરાત કરશે

929

ગુજરાત બાદ હવે ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં આશરે ૮૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચથી ભગવાન રામની ઐતિહાસિક પ્રતિમા બનાવવા માટેની તૈયારી કરી ચુકી છે. આ પ્રતિમા આશરે ૪૦૩ ફુટ અથવા તો ૧૫૧ મીટર ઉંચી રહેશે. જો નિર્માણની દિશામાં વહેલીતકે કામ આગળ વધશે તો ભગવાન રામની આ પ્રતિમા દુનિયાની ત્રીજી સૌથી ઉંચી પ્રતિમા રહેશે. દિપોત્સવના દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આની વિધિવતરીતે જાહેરાત કરી શકે છે. એટલું જ નહીં ભગવાન રામની પ્રતિમાની સાથે જ સમગ્ર ક્ષેત્રમાં કરોડો રૂપિયાના ખર્ચે એક ભવ્ય સ્મારક બનાવવામાં આવશે જે પ્રવાસીઓને આકર્ષિત કરશે.

છ નવેમ્બરના દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી રહ્યા છે. સાતમી નવેમ્બરના દિવસે રામનગરીમાં આયોજિત કાર્યક્રમમાં યોગી ભાગ લેશે. એવી ચર્ચા છે કે, આજ દિવસે તેઓ ભગવાન રામની ભવ્ય પ્રતિમા માટે સૂચિત સ્થળનું નિરીક્ષણ કરીને શિલાન્યાસની વિધિ પણ કરી શકે છે. અયોધ્યા આ વખતે દિવાળી પર્વના એક દિવસ પહેલા જ અસંખ્ય દિવડાની માળાથી રોશનીમાં ફેલાઈ જશે. ભગવાન રામના રાજ્યાભિષેકના સ્થાન તરીકે અયોધ્યામાં આ વખતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વની ઉજવણી કરવાની પરંપરા સામાન્યરીતે તો અયોધ્યાથી જ શરૂ થઇ છે પરંતુ ત્રેતાયુગની અયોધ્યામાં દિવાળીના પર્વને લઇને જે રીતે હર્ષ અને ઉલ્લાસનો કાર્યક્રમ રહેતો હતો તેનો ઉલ્લેખ શ્રીરામ ચરિત્ર માનસમાં કરવામાં આવ્યો છે પરંતુ કળયુગમાં બીજી વખત બની રહ્યું છે જ્યારે ધાર્મિક નગરી અયોધ્યા ત્રેતાયુગની અયોધ્યામાં ફેરવાઈ જશે. રામનગરીમાં પ્રદેશ સરકારના અધિકારીઓ યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે. છઠ્ઠી નવેમ્બરના દિવસે સરકાર નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ અયોધ્યામાં ભગવાન રામના રાજ્યાભિષેક કાર્યક્રમ અને પૂર્વ અયોધ્યામાં કાઢવામાં આવતી ભવ્ય શોભાયાત્રા રામ બારાતની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ આયોજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે પ્રદેશ સરકાર ખુબ જ ગંભીર બનેલી છે. ગંભીરતા એનાથી જોઇ શકાય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે અયોધ્યા પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કઈ ચુક્યા છે કે, રામ મંદિરના સંદર્ભમાં ટૂંકમાં જ સારા સમાચાર લોકોને મળશે. અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમોને સફળરીતે પાર પાડવા જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ તબક્કામાં તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે.

ત્રેતાયુગમાં ભગવાન રામની સાથે જ સરયુ નદીમાં ડુબી જતી અયોધ્યા અને મહારાજા વિક્રમાદિત્યની અયોધ્યામાં કોઇ અંતર ન દેખાય તે માટે યોગી સરકાર સજ્જ છે.

Previous articleગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા : બિહારમાં બનશે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ….!!
Next articleચીનમાં એકસાથે ૩૧ વાહનોનો વિચિત્ર અકસ્માત, ૧૫નાં મોત, ૨૭થી વધુ લોકો ઘાયલ