આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બીજા નંબરે

1064

ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી-૨૦માં વેસ્ટ ઈન્ડિઝનો ૩-૦થી વ્હાઇટ વોશ કરવાનો ફાયદો ટીમ ઈન્ડિયાને આઈસીસી રેન્કિંગમાં પણ થયો છે. વિન્ડિઝ સામે મળેલી ત્રણ જીતથી ભારત ટી૨૦ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતના કટ્ટર હરિફ પાકિસ્તાનનો પ્રથમ નંબર પર દબદબો જળવાઈ રહ્યો છે.

વિન્ડિઝ સામે જીત સાથે ટીમ ઈન્ડિયા ૧૨૬ પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગઈ છે. પાકિસ્તાન ૧૩૮ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ૧૧૮ અંક સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે. ભારત સામે ૩-૦થી હારનાર કેરેબિયન ટીમ ૧૦૩ પોઈન્ટ સાથે સાતમા નંબર પર ધકેલાઈ ગઈ છે. ૨૦૦૬ બાદ ભારત ૧૦૭ ટી-૨૦ મેચ રમ્યું છે. જેમાંથી ૬૮માં વિજય થયો છે. જ્યારે ૩૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની વિજય ટકાવારી ૬૫.૨૩ છે. જ્યારે નંબર વન ૧ ટી૨૦ ટીમ પાકિસ્તાનની વિજય ટકાવારી ૬૫.૧૦ છે. ભારતની આ સફળતામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ અને તેમાંથી આવેલા યુવા ખેલાડીઓનો સિંહફાળો છે. રવિવારે ત્રીજી મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં ઘણી આ પ્રકારની મેચો હોય છે. જેમાં ખેલાડી સારું પ્રદર્શન કરતાં હોય છે. આ પ્રકારના પ્રદર્શનથી ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે.

Previous articleકોહલી જેવો ખેલાડી સદીમાં એક વાર અવતરે છે : નવજોત
Next articleએટીપી ફાઇનલ્સઃ પ્રથમ રાઉન્ડમાં નિશિકોરી સામે ફેડરરનો પરાજય