કુ.વાડાના યુવાનની હત્યાના કેસમાં બે શખ્સોને આજીવન કેદની સજા

1158

બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના કુંભારવાડા, વણકર સોસાયટી ચોક વિસ્તારમાં એક યુવાને સગીરાને ભગાડીગયાની અને આ કામમાં અન્ય યુવાને મદદગારી કરી હોવાની શંકા રાખી બે શખ્સોએ યુવાન ઉપર છરીના ઘા ઝીંકી દઈ હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ આજરોજ મંગળવારે ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, આધાર-પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ અદાલતે બન્ને આરોપીઓ સામેનો હત્યાનો ગુનો સાબીત માની, તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી મનોજભાઈ અરવિંદભાઈ ગોહેલના ભાઈ મરણજનાર પરેશ ઉર્ફે ગુંગો અરવિંદભાઈ ગોહેલનો મિત્ર પ્રવિણ ઉર્ફે દાઉદ હિરાભાઈ રાઠોડ સાહેદની સગીરવયની દિકરીને ભગાડીને લઈ ગયેલ હોય જેને આ કામમાં મરણ જનાર પરેશ ગોહેલે મદદ કરેલ હોવાની આરોપીઓ અમીત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા (ઉ.વ.ર૩, રહે. પ્લોટ નં. પ વણકર સોસાયટી, કુંભારવાડા) તથા ધીરૂ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.ર૦, રહે. પ્લોટ નં. ૬, વણકર સોસાયટી, કુંભારવાડા)નાઓને સગીરાને ભગાડવામાં પરેશ ગોહેલ મદદ કરેલ હોવાની શંકાના આધારે ગત તા. ૯-૧૦-ર૦૧૬ના રોજ રાત્રીના ૧૧-૩૦ કલાકે પરેશ તથા સાહેદ નવરાત્રી દાંડીયારાસ જોઈને ઘર તરફ આવતા હતા તે વેળાએ કુંભારવાડાની વણકર સોસાયટીના ચોકમાં ઉકત બન્ને આરોપીએ મરણજનાર તથા સાહેદને ઉભા રાખી, બોલાચાલી કરી, ઝઘડો કરી, પરેશ ગોહેલ ઉપર છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવેલ.

જે તે સમય આ બનાવ અંગે મરણજનારના ભાઈ મનોજ અરવિંદભાઈ ગોહેલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અમીત દલપત મકવાણા અને ધીરૂ મનસુખ મકવાણા સામે ઈ.પી.કો. કલમ ૩૦ર, ૧૧૪ તથા જીપએકટ કલમ ૧૩પ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ આજરોજ મંગળવારે ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા ૧૮, દસ્તાવેજી પુરાવા ૩પ વિગેરે બાબતો ધ્યાને લઈ આરોપીઓ અમીત દલપત મકવાણા અને ધીરૂ મનસુખ મકવાણા સામે ઈ.પી.કો કલમ ૩૦ર મુજબનો ગુનો સાબીત માની આ ગુનામાં બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા. ૧૦ હજાર જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સજા, જી.પી.એકટ કલમ-૧૩પ મુજબના ગુના સબબ બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી ર વર્ષની કેદની સજા અને રોકડા રૂા. ૧ હજારનો દં અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા દંડની રકમ વસુલ આવે તે પૈકીની રૂા. ર૦ હજાર ગુજરનારના ભાઈ મનોજભાઈને વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

Previous articleમુખ્યમંત્રી રૂપાણી, નિતિન ગડકરી, મનસુખ માંડવીયા આજે પાલિતાણામાં
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે