અમૃતસર રેલ્વે દુર્ઘટનાઃ રેલ્વેએ રિપોર્ટમાં કહ્યું લોકોની બેદરકારીનાં કારણે થઇ દુર્ઘટના

617

નવી દિલ્હી : અમૃતસરમાં ગત્ત દિવસો દરમિયાન થયેલ મોટી રેલ દુર્ઘટના માટે રેલ્વે સુરક્ષા આયુક્તે લોકોની બેદરકારીનાં કારણે અકસ્માત બન્યો હોવાનો અહેવાલ રજુ કર્યો છે. મુખ્ય રેલ્વે સુરક્ષા આયુક્ત એસકે પાઠકે પોતાનાં અહેવાલમાં જણાવ્યું કે, ૧૯ ઓક્ટોબરે થયેલી રેલ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ લોકોની બેદરકારી છે. લોકો દશેરાનો મેળો જોવા માટે જાણીબુઝીને રેલ્વે ટ્રેક અને ટ્રેકની આસપાસ ઉભા હતા. ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને ૧૯ તારીખે દશેરાનાં દિવસે થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં ૬૦ લોકોનાં મોત થયા હતા. તમામ લોકો રેલ્વે ટ્રેક પર ઉભા રહીને દશેરાનો મેળો જોઇ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનની ઝપટે ચડી જવાનાં કારણે ૬૦ લોકોનાં મોત થયા હતા.

મુખ્ય રેલ્વે સુરક્ષા આયુક્ત પાઠકે પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે, તથ્યો અને સાક્ષ્યો પર સાવધાની પુર્વક નજર નાખ્યા બાદ અમે તે અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ૧૯ ઓક્ટોબરે સાંજે ૦૬.૫૫ વાગ્યે ફિરોઝપુર મંડળના અમૃતસરની નજીક જોડા ફાટક પર થયેલી ટ્રેન અકસ્માત હાજર લોકોની બેદરકારીનું પરિણામ છે, જેઓ દશેરાનો મેળો જોવા માટે પાટા પર ઉભેલા હતા. રિપોર્ટમાં તેમણે દુર્ઘટનાને રેલ્વે લાઇન નજીક લોકો દ્વારા કામ કરવામાં ત્રુટી લેખાવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે અન્ય કેટલીક ભલામણો કરી છે.

Previous articleકરતારપુર કોરિડોરને કેબિનેટની મંજુરી : શીખ સમુદાય ભારે ખુશ
Next articleહવે તમામ સંસદીય ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલાશે