ડો. વર્ગીસ કુરીયનના જન્મદિવસ નિમિત્તે નિકળેલી બાઈક રેલી સિહોર આવી પહોંચી

864

ર૬ નવેમ્બર રાષ્ટ્રીય દુધ દિવસ તથા ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનના ૯૭માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બે અલગ અલગ ટીમ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક ટીમ જમ્મુ કાશ્મીરથી આણંદ સુધીની સફર ખેડશે. જયારે બીજી ટીમ કચ્છથી આણંદ સુધીની સફર ખેડશે. કચ્છના લાખોંદ ગામીથી શરૂ થઈ રહેલી બાઈક રેલીમાં ૧૬ જેટલા નવયુવાનો જેમાં ર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ બાઈકર્સો રસ્તામાં ડો વર્ગીસ કુરીયનના શ્વેતક્રાંતિના વિચારોથી પ્રભાવીત થઈ તેમના વિચારો પર ચાલનારા લોકો તથા ગામો, સહકારી દુધ મંડળીઓ, વિગેરેનો મુલાકાત લેશે.

મિલ્ક-ડેની ઉઝવણી નિમિત્તે સરહદ ડેરી લાખોંદથી શરૂ કરી રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી થઈ ભાવનગર જિલ્લાના સર્વોત્તમ ડેરી ખાતે તા. ર૪ના રોજ સાંજે પ-૦૦ કલાકે પહોંચી હતી. ત્યારે ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરીના એમ.ડી.એચ.આર.જોષી, જોઈન્ટ એમ.ડી. એમ.પી.પંડયા તથા સર્વોત્તમ ડેરીના વિશાળ સંખ્યામાં હાજર રહેલા કર્મચારીઓએ તમામ બાઈકર્સનું જોરદાર સ્વાગત કરેલ અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તેઓને સભા સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતાં. સ્વાગત પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર એમ.પી. પંડયાએ કરેલ. તમામ બાઈકર્સનું હારતોરાથી સ્વાગત તેમજ બાઈકર્સ સાથે આવેલ જીસીએમએમએફના સેલ્સ મેનેજર અનિલભાઈ ગઢવીનું સન્માન સંઘના એમ.ડી. એચ.આર.જોષીએ કરેલ.

આ બાઈક રેલી ર૬ નવેમ્બરના રોજ આણંદ પહોચશે. જેમાં અમુલ સાથે જોડાયેલ ગુજરાતના દરેક જીલ્લા સભ્ય સંઘમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. ડો વર્ગીસ કુરીયનના વિચારોનું આદાન પ્રદાન કરી અનોખી ઉજવણી આણંદ ખાતે કરવામાં આવશે. બીજી ટીમ પણ ર૬ નવેમ્બરના રોજ આણંદ પહોંચશે. જીસીએમએમએફના અનિલ ગઢવીએ અમુલની સિધ્ધીઓ વર્ણવી દેશમાં ડો. વર્ગીસ કુરીયનના યોગદાન વર્ણવ્યું હતું. આ પ્રસંગે સર્વોતતમ ડેરીના એમ.ડી. એચ.આર.જોષીએ પોતાના ઉદ્દઘોષણમાં જણાવેલ કે ડો. વર્ગીસ કુરીયનના કાર્યકાળ એટલે કે ૧૯ર૧ થી ર૦૧ર દરમ્યાન તેઓએ કરેલ અથાગ પ્રત્યન થકી આજે અમુલ બ્રાન્ડ વિશ્વમાં પ્રસિધ્ધ થઈ. કાર્યક્રમનું સંચાલન સિનિયર મેનેજર વાય.એચ.જોષીએ કરેલ. આભારવિધિ સિનિયર મેનેજર એન.યુ.ઝિંઝાળાએ કરેલ. કાર્યક્રમ સફળ બનાવવા સર્વોત્તમ ડેરીના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

Previous articleએપીએમ ટર્મિનલ્સ પીપાવાવ યુવાનોને સ્વનિર્ભર બનાવવા તાલીમ અપાશે
Next articleબોટાદ શહેરમાં અસામાજીક તત્વો પર પોલીસની લાલ આખ