અસ્થાના સંબંધિત કેસ ફાઇલ ચકાસવાની વર્માને અંતે મંજુરી

699

દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે એફઆઈઆર સાથે સંબંધિત સીવીસીની ઓફિસ ફાઇલ કેસમાં તપાસ કરવા સીબીઆઈના ડિરેક્ટર આલોકકુમાર વર્મા અને જોઇન્ટ ડિરેક્ટર એકે શર્માને મંજુરી આપી દીધી છે. રાકેશ અસ્થાના સાથે સંબંધિત કેસ ફાઇલમાં નિરીક્ષણ કરવાની મંજુરી આપવામાં આવી છે. જસ્ટિસ નઝમી વઝીરીએ અસ્થાના સામે કાર્યવાહીના સંદર્ભમાં યથાસ્થિતિ જાળવવા સીબીઆઈને આદેશ આપતા ચુકાદાને યથાવત રાખ્યો છે. તેના આદેશને ૭મી ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.

રાકેશ અસ્થાના દ્વારા લાંચ કેસમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. કોર્ટે ગુરુવારે ૪.૩૦ વાગે સીવીસીની ઓફિસમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની કસ્ટડીમાં રાખવામાં આવેલી કેસ ફાઇલને જોવા માટે વર્માને મંજુરી આપી છે.

સીબીઆઈના પોલીસ અધિકારી સતિષ બાગર પણ નિરીક્ષણ વેળા ઉપસ્થિત રહેશે. કેસ ફાઇલ અને દસ્તાવેજો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચકાસણી માટે સીવીસીને મોકલી દેવામાં આવ્યા છે. વર્મા સામે તપાસ કરવા વિજિલન્સ સંસ્થાને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા બાદ આ ચુકાદો આવ્યો છે. વર્મા અને શર્માના વકીલો દ્વારા મૌખિકરીતે રજૂઆત કરી હતી કે, ફાઇલની ચકાસણી કરવાની જરૂર છે જેથી મંજુરી મળવી જોઇએ. અસ્થાનાની અરજીમાં તેમની સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે શર્માના વકીલની અરજીને મંજુરી આપી હતી જેમાં સીલકવરમાં ચોક્કસ બાબતો રજૂ કરવા કહેવામાં આવ્યું છે. સીબીઆઈમાં હાલમાં જોરદાર ખેંચતાણ રહી હતી. આલોક વર્મા અને રાકેશ અસ્થાના બંનેને ત્યારબાદ કેન્દ્ર સરકારે આક્રમક વલણ અપનાવીને રજા ઉપર મોકલી દીધા હતા.

Previous articleગોંડલ યાર્ડમાં વિનાશક આગ : મરચાંની હજારો બોરીઓ ખાખ
Next articleકુખ્યાત ત્રાસવાદી નવીદ જટ ભીષણ અથડામણમાં ફૂંકાયો