બિહારમાં મહાગઠબંધનની જાહેરાત થઇ : કુશવાહ ઇન

736

મોદી સરકારમાં મંત્રીપદેથી રાજીનામુ આપી દેનાર અને એનડીએ સાથે છેડો ફાડી લીધા બાદ રાષ્ટ્રીય લોકક્ષમતા પાર્ટીના અધ્યક્ષ  ઉપેન્દ્ર કુશવાહ આજે યુપીએનો હિસ્સો બની ગયા તા. દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના હેડક્વાર્ટર ખાતે પહોંચીને તેઓએ યુપીએની સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, એનડીએમાં તેમનું અપમાન થઇ રહ્યું હતું. કુશવાહના યુપીએમાં સામેલ થવાના પગલા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે બિહારમાં મહાગઠબંધનના નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. આ પ્રસંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે કુશવાહના મહાગઠબંધનમાં સ્વાગત કરીને વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા. ઉપેન્દ્ર કુશવાહના મહાગઠબંધનમાં સ્વાગત કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, આ બંધારણ અને દેશ બચાવવાની લડાઈ છે. હાલના સમયમાં દેશમાં જાહેર નહીં કરાયેલી ઇમરજન્સીની સ્થિતિ છે. મોદી ઘટક પક્ષો ઉપર કઠોર વલણ અપનાવી રહ્યા છે. આરજેડીના નેતાએ કહ્યું હતું કે, આ તેમની સામેની લડાઈ છે. મોદીએ પ્રજાની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

પ્રજા યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આજે દેશના બંધારણ અને બંધારણીય સંસ્થાઓ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. આ લડાઈ સંસ્થાઓને બચાવી લેવા માટેની છે. આરજેડી નેતાએ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પણ પ્રહાર કર્યા હતા. મહાગઠબંધન સાથે છેડો ફાડીને પ્રદેશમાં સરકાર બનાવવા ભાજપ સાથે જોડાયેલા નીતિશ ઉપર પ્રહાર કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, નીતિશકુમારે જનાદેશનું અપમાન કર્યું છે. જનાદેશ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. બિહારમાં ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે પરંતુ આનું એક એન્જિન અપરાધમાં છે જ્યારે બીજા એન્જિનમાં ભ્રષ્ટાચારની સ્થિતિ છે. મોદી ઉપર પ્રહાર કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે તેઓ બિહારમાં કહી રહ્યા હતા કે, ૬૦૦૦૦ કરોડ કે ૮૦૦૦૦ કરોડ આપે. તેજસ્વીએ કહ્યું હતું કે, બિહારને સવા લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.  બિહારની જનતા હવે જવાબ ઇચ્છે છે. તેજસ્વીએ કહ્યું છે કે, પૂર્વોત્તરથી લઇને કાશ્મીર સુધી દેશના દરેક હિસ્સામાં એનડીએ પોતાના સાથી પક્ષોને ગુમાવી રહી છે. દેશની સાથે ઠગાઈ કરનારને યોગ્ય જવાબ આપવામાં આવશે. પોતપોતાના ઇગોને છોડીને રાજકીય પક્ષોએ લડત ચલાવવી પડશે. ઉપેન્દ્ર કુશવાહે કહ્યું હતું કે, એનડીએમાં તેમનું અપમાન થઇ રહ્યું હતું. કોંગ્રેસ પ્રમુખની પ્રશંસા કરતા કુશવાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેવા માફીની વાત કરાયા બાદ વચન પાળવામાં આવ્યું છે. બિહારમાં કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીના પ્રશ્ને કહ્યું હતું કે, યોગ્ય સમય આવ્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.

Previous articleપેટીએમના પેમેન્ટ બેન્કમાં નવા ખાતા ખોલવા પર રોક
Next articleરેલવે ટેન્ડર કાંડમાં લાલૂને વચગાળાના જામીન મળ્યા