આજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી વન-ડે

804

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની બીજો વનડે શનિવારે માઉન્ટ માઉનગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. ભારત પહેલી વનડે જીતી સિરીઝમાં ૧-૦ થી આગળ છે. વિરાટ કોહલી ત્રીજી વનડે બાદ આરામ પર જવાનો હોવાથી ભારત ફેરફાર કર્યા વગર મેચ જીતી સિરીઝમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. જયારે કિવિઝ સિરીઝમાં વાપસી કરવા તલપાપડ હશે.

માઉન્ટ માઉનગાનુઈ ખાતે પહેલી વાર ભારત અને કિવિઝ મુકાબલો રમશે. કિવિઝ અત્યાર સુધીમાં અહીંયા ૬ વનડે રમ્યું છે, જેમાં તેઓએ ૩ મેચ જીતી અને ૩ મેચ હારી છે. આ વર્ષે લંકા સામેની બંને વનડેમાં કિવિઝે આ મેદાન પર જીત મેળવી હતી. ૩૭૧, ૩૨૬, ૩૧૯ અને ૨૯૮ના સ્કોર રજીસ્ટર થયા હતા. કિવિઝે તે સિરીઝમાં કુશલ પરેરા અને થિસારા પરેરાના પ્રયાસને સફળ થવા ન દીધો હતો. જોકે ભારતની બેટિંગ અને બોલિંગ સામે તેમના માટે એટલી આસાનીથી મેચ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન રહેશે. આવતીકાલે વાતાવરણ ક્રિકેટ માટે સરસ રહેશે, મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી.

પહેલી વનડે જીત્યા બાદ ભારતીય ટીમ કોઈ પણ પ્રકારના ફેરફાર કરે તેવી સંભવના નહિવત છે. મોહમ્મદ શમી અને કુલદિપ યાદવ ફોર્મમાં છે. તે ઉપરાંત યૂઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર પણ રિધમમાં છે. પાંચમા બોલર- વિજય શંકર અને કેદાર જાધવે સારી બોલિંગ કરી હતી. તેમજ બેટિંગ યુનિટ તરીકે શિખર ધવનના ફોર્મમાં આવાથી ભારતીય ડગઆઉટ એકદમ ખુશ હશે.

ટીમ ઇન્ડિયાઃ

વિરાટ કોહલી (કેપ્ટ્‌ન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, કુલદિપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલિલ એહમદ, મોહમ્મદ શમી, વિજય શંકર, શુભમન ગિલ

ટીમ ન્યુઝીલેન્ડઃ

કેન વિલિયમ્સન  (કેપ્ટ્‌ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલીન ડી ગ્રેન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લેથમ, કોલીન મુનરો, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, ઈશ શોધી, ટિમ સાઉથી

Previous articleમેદાન પર રાષ્ટ્રગીત ગાઓ ત્યારે છાતી ગર્વથી ભરાઇ જાય : તેંદુલકર
Next articleઇન્ડોનેશિયા માસ્ટર્સઃ સેમીફાઇનલમાં સાઇના ઇન, કિદાંબી શ્રીકાંત આઉટ