રૂા. ૩૯૯ કરોડના બોગસ બિલીંગમાં સંડોવાયેલા ભાવનગરના મહમંદ ચિકનની SGST દ્વારા ધરપકડ

1040

ભાવનગર ખાતેના મજુરી કામ કરતા લોકો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવીને ગરીબ લોકોને લોન આપવા બાબતના પ્રલોભનો તથા રોકડ રકમ આપીને દસ્તાવેજની નકલો શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે મુના પાંપણ ભાવનગર દ્વારા મેળવવામાં આવેલ હતાં. જે દસ્તાવેજોનો દુરૂપયોગ કરીને ગાંધીધામ ખાતે એન.બી.એન્ટરપ્રાઈઝના નામથી, સુરત ખાતે અનમોલ સેલ્સ કોર્પોરેશનના નામથી અને રાજકોટ ખાતે જે.એમ. ઈપેક્ષના નામથી જી.એસ.ટી. કાયદા અન્વયે નોંધણી નંબરો મેળવેલ હતાં. જેમાં એન.બી. એન્ટરપ્રાઈઝ ગાંધીધામના કેસમાં રૂા. ૧૦૧/- કરોડના બોગસ બીલો ઈસ્યુ કરેલ, અનમોલ સેલ્સ કોર્પોરેશન સુરતના કેસમાં રૂા. ૧૬૬/- કરોડના તથા જેઅ.મે.ઈમ્પેક્ષ રાજકોટના કેસમાં ૧૩ર/- કરોડના વ્યવહારો મળીને કુલ ૩૯૯/- કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલ હતાં. જેથી અન્ય વેપારીઓને રૂા. ૬૦/- કરોડની વેરાશાખ તબદીલ કરવા માટે આ વ્યક્તિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ હતાં. જેથી તા. ૧૩-ર-ર૦૧૯ના રોજ શેખ મુનાફ અબ્દુલ રશીદભાઈ ઉર્ફે મુના પાંપણની એસજીએસટી ભાવનગર દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ બોગસ બિલીંગ પ્રવૃત્તિમાં મુનાફ પાંપણ સાથે મહમદરજા નાસીરહુસેન કેશવાણી ઉર્ફે મહમદ ચિકન પણ મેળાપીપણામાં સામેલ હોવાથી તા. ૧ર-૩-ર૦૧૯ના રોજ તેઓની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.

આ કેસમાં તા ૭-ર-ર૦૧૯ના રોજ અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને સુરત ખાતે તપાસો કરવામાં આવેલ. જેમાં આ બંને વ્યક્તિઓ દ્વારા નોંધણી નંબર મેળવતી વખતે ખોટા પુરાવાઓ રજુ કરેલ હતાં. જેથી તપાસ દરમ્યાન અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને સુરત ખાતે કોઈ વેપારી કે ધંધાનું સ્થળ મળી આવેલ ન હતાં. જેથી એન.બી. એન્ટરપ્રાઈઝ, જેઅ.મે.ઈમ્પેક્ષ અને અનમોલ સેલ્સ કોર્પોરેશનની ભાવનગરની બેંક ખાતાની વિગતો પરથી આ પેઢીના માલિકોના ભાવનગરના રહેઠાણની વિગતો મેળવી તપાસ કરવામાં આવેલ જેમાં તમામ વ્યક્તિઓએ આપેલ નિવેદન મુજબ તેઓના દસ્તાવેજોનો દુર ઉપયોગ કરીને નોંધણી નંબર મેળવેલ છે. તેમના દ્વારા કોઈ ધંધાકીય વ્યવહારો કરેલ નથી. અને નિવેદનમાં જણાવેલ છે કે તેઓએ આ દસ્તાવેજો શેખ મુનાફ અબ્દુલ રહીદભાઈ ઉર્ફે મુના પાંપણ અને મહંમદ નાસિર હુસેન કેશવાણી ઉર્ફે મહમંદ ચિકનને આપેલ હતાં. જેઓએ દસ્તાવેજનો દુર ઉપયોગ કરી નોંધણી નંબર મેળવી રૂા. ૩૯૯/- કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલ હતાં. જેમાં રૂા. ૬૦/- કરોડની વેરાની રકમ પણ સંડોવાયેલ હતી. આથી ગુજરાત માલ અને સેવા કર અધિનિયમની જોગવાઈઓ ધ્યાને લઈને તા. ૧ર-૩-ર૦૧૯ના રોજ બપોરના મહમદરજા નાસીરહુસેન કેશવાણી ઉર્ફે મહમદ ચિકનની સંયુકતથ રાજય વેરા કમિશનર, વિભાગ-૯ ભાવનગરની ટીમ દ્વારા કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવેલ છે. અને આરોપીને નામદાર કોર્ટેમાં રજુ કરતા તેઓને ભાવનગર ખાતેની જેલમાં મોકલવામાં આવેલ છે.

Previous articleમા.યાર્ડના ચેરમેન વા.ચેરમેનની વરણી
Next articleટાઇગર શ્રોફ ખુબ સારો મિત્ર છે : દિશા પાટનીનો ઘટસ્ફોટ