ક્વેટાની શાક માર્કેટમાં બ્લાસ્ટ થતા ૨૦ના મોત, અનેક ઘાયલ

480

શુક્રવારે પાકિસ્તાનનું ક્વેટા શહેર વિસ્ફોટથી ધ્રૂજી ઊઠ્યું હતું. શુક્રવારે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં ૨૦નાં મોત થયાં હતાં અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ક્વેટાની હજારગાંજી સબજી મંડીમાં જોરદાર વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘાયલ પૈકી કેટલાંકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ માટે હજુ સુધી આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. ક્વેટાના ડીઆઇજી અબ્દુલ રજાક ચીમાએ ક્વેટામાં બ્લાસ્ટના અહેવાલને સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે ક્વેટામાં હજારા સમુદાયને નિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસને ટાંકી પાકિસ્તાનના અખબાર ડોને જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં ઇજા પામેલા લોકોને સારવાર અર્થે બોલન મેડિકલ કોમ્પ્લેક્સમાં દાખલ કરવામાં આવ્યા છે.એક રિપોર્ટ અનુસાર બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફ્રન્ટિયર કોર્પના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સમગ્ર વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે. બહારની કોઇ વ્યક્તિને ઘટનાસ્થળ સુધી પહોંચવા દેવામાં આવતી નથી.

એક અહેવાલ અનુસાર વડા પ્રધાન ઇમરાનખાને બ્લાસ્ટની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ ઘટના અંગે રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો છે. બલુચિસ્તાનના મુખ્યપ્રધાન જામ કમાલે જણાવ્યું છે કે આ હુમલો વખોડવા યોગ્ય છે અને આ માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં. શાંતિભંગની સાજિશ ઘડનારાઓને જલદી ઓળખી કાઢવામાં આવશે. કટ્ટરપંથી વિચારધારાના લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. બોમ્બ બ્લાસ્ટ રહેણાક સંકુલ પાસે થયો છે કે જ્યાં મોટા ભાગના લઘુમતી શિયા મુસ્લિમો વસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી- ર૦૧રથી ડિસેમ્બર-ર૦૧૭ સુધી ક્વેટામાં થયેલા આતંકી હુમલાઓમાં હજારા સમુદાયના પ૦૯ લોકો માર્યા ગયા હતા અને ૬ર૭ જખમી થયા હતા.

Previous articleન્યાય યોજના દ્વારા ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક : રાહુલ ગાંધી
Next articleકોની પાસેથી કેટલી રકમ મળી તે અંગે માહિતી આપવા હુકમ