પ્રતિષ્ઠા ખરડવાના કાવતરા રચાઈ રહ્યા છે : મોદી

440

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ ઉત્તરપ્રદેશમાં બસ્તી અને પ્રતાપગઢમાં ચુંટણી સભાઓ ગજવી હતી. મોદીએ પ્રતાપગઢમાં રેલી દરમિયાન મહાગઠબંધન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે જે પાર્ટી પ્રથમ તબક્કાની ચુંટણી પહેલા પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગણી રહી હતી તે પાર્ટી હવે પોતાના મત કાપનાર પાર્ટી તરીકે ગણાવી રહી છે. આનાથી જાણી શકાય છે કે કોંગ્રેસના પતનની શરૂઆત થઈ ચુકી છે. તેમણે કહ્યું હતું કે આ લોકોને સારી રીતે માહિતી છે કે મોદીને પરાજિત કરવા માટેની બાબત ખુબ મુશ્કેલ છે. મોદીને પરાજિત કરવા માટે તેમની પ્રતિષ્ઠાને ખરડવાના પ્રયાસ કરવા પડશે. તેમની છાપ ખરાબ કરવાના પ્રયાસ સતત થઈ રહ્યા છે. આજ કારણસર દરરોજ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે મત કાપવા, દેશ વિભાજિત કરવા અને કેબિનેટના વટહુકમને ફાડી નાખવાની કોંગ્રેસની પરંપરા રહી છે. ચોથા તબક્કાના મતદાન બાદ કેટલીક બાબત નિકળીને સપાટી પર આવી છે. નામદાર લોકો કહી રહ્યા છે કે તેઓ મોદીના આભામંડળથી ભયભિત છે. હવે આ લોકો કહી રહ્યા છે કે મોદીને એ વખત સુધી પરાજિત કરી શકાય નહીં જ્યાં સુધી તેમની ઈમાનદારી અને દેશભક્તિ પર કલંક લગાવવામાં ન આવે. આજ કારણસર દરરોજ આક્ષેપબાજી થઈ રહી છે. સમગ્ર સિસ્ટમને પાછળ મુકી દેવામાં આવી છે.

પહેલા રાફેલના મુદ્દે અને ત્યારબાદ અન્ય મુદ્દા પર તેમની છાપ ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મોદીએ કોંગ્રેસ પ્રમુખ પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી સોના ચમચી લઈને જન્મેલા નથી. રાજ પરિવારમાં જન્મેલા નથી. છેલ્લા ૫૦ વર્ષથી રોકાયા અને ખર્ચા વગર કામ કરી રહ્યા છે. ૫ થી ૫૦ ઈન્ટરવ્યું કરીને તેમની છાપને ખરાબ કરી શકાશે નહીં. રાજીવ ગાંધી પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે તેમના પિતાની પણ મિસ્ટર ક્લિનની છાપ હતી. પરંતુ મોડેથી સૌથી મોટા ભ્રષ્ટાચારીની છાપ ઉભરી આવી હતી. મિસ્ટર ક્લીનના જીવનકાળની અવધિ ભ્રષ્ટાચાર નંબર વન તરીકે પૂર્ણ થઈ હતી. રાહુલ ગાંધી એક ઈન્ટરવ્યુંમાં કબુલાત કરી છે કે તેઓ મોદી સામે એ વખત સુધી જીતી શકે નહીં જ્યાં સુધી તેમની છાપને ખરાબ કરવામાં આવશે નહીં. આજ કારણસર દરરોજ આક્ષેપબાજી થઈ રહી છે. રાહુલે હવે ફરી કબુલાત કરી છે કે સમગ્ર અભિયાનનો ઉદ્દેશ મોદીની છાપને ખરાબ કરવાનો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે જ્યારે મહામિલાવટી લોકો સત્તામાં આવે છે ત્યારે દેશને ભારે નુકસાન થાય છે. આ લોકો તેમને મુશ્કેલીમાં મુકીને દેશમાં અસ્થિર સરકાર બનાવવા ઈચ્છુક છે. ભ્રષ્ટાચારીઓ તપાસને અટકાવી રહ્યા છે. કોંગ્રેસના નામદારો ખેડુતોની જમીનને ટ્રસ્ટના નામ પર લઈને કબજે કરી રહ્યા છે. નામદારના લોકો સંરક્ષણ સોદાબાજીમાં ડુબેલા છે. ભ્રષ્ટાચારના મામલામાં ૨૦-૨૦ નોટિસ જુદા જુદા વિભાગો તરફથી મોકલવામાં આવી હોવા છતાં સામનો કરવા તેમના વકીલ અથવા તેઓ પોતે ઉપસ્થિત થતા નથી. આગામી સરકર આવવા સુધી મામલાઓને ખેંચવાના પ્રચાર કરવામાં આવી રહ્યા છે. તાજમહેલ અને અન્ય મુદ્દાઓ ઉપર પણ મહામિલાવટી લોકો અડચણો ઉભી કરતા રહ્યા છે. બીજી બાજુ બસ્તીમાં મોદીએ પોતાના સંબોદનમાં મહામિલાવટી લોકો પર પ્રહાર કરતા કહ્યું હતું કે સપા તથા બસપા અને કોંગ્રેસ માટે હજુ દિલ્હી દુરની વાત છે. ત્રાસવાદી હુમલાઓના સંદર્ભમાં વાત કરતા મોદીએ કહ્યું હતું કે ત્રાસવાદીઓ જ્યાં પણ હશે તેમને શોધી શોધીને મોતને ઘાટ ઉતારવામાં આવશે. મહામિલાવટી લોકોથી સાવચેત રહેવાની જરૂર છે. વડાપ્રધાન અને મંત્રી બનવાના સપના તેમના સપના જ રહી જશે.

Previous articleચોકીદાર ચોર હે બોલવા ઉપર સુપ્રિમથી માફી માંગી : રાહુલ
Next articleઅમેરિકા : ૧૪૦ યાત્રી સાથે વિમાન નજીકની નદીમાં સરક્યુ