નબળી સરકારથી દેશ ક્યારેય મજબુત બની શકે નહી : મોદી

393

લોકસભા ચુંટણી માટે પ્રચારનો સિલસિલો જારી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં તીવ્ર પ્રચાર કરવા માટે પહોચ્યા હતા. એક પછી એક રેલી યોજી હતી. જેમાં મોદી કોંગ્રેસ અને મહાગઠબંધન ઉપર પ્રહારો કર્યા હતા.

મોદી અને બસપના વડા માયાવતી વચ્ચે સામસામે આક્ષેપબાજીનો દોર જારી રહ્યો છે. મોદીએ ફરી એકવાર માયાવતી પર પરોક્ષ રીતે જાતિને લઈને પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, હવે એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, મોદીની જાતિ કઈ છે. પરંતુ તેવો કહેવા માંગે છે કે, આ દેશના ગરીબોની જે જાતિ છે તે તેમની જાતિ રહી છે.

શુક્રવારના દિવસે માયાવતીએ મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદી રાજકીય સ્વાર્થ માટે બીન જરૂરી રીતે પછાત જાતિના બનેલા છે.

માયાવતીએ કહ્યું હતું કે, જો મોદી જન્મથી પછાત જાતિના રહ્યા હોત તો સંઘના લોકોએ ક્યારેય પણ મોદીને વડાપ્રધાન બનાવ્યા ના હોત.

મોદીએ ઉત્તર પ્રદેશમાં આક્રમક પ્રચાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદનથી તમામ લોકો ચોકી ગયા છે.

સીખ લોકોની કરવામાં આવેલી હત્યાના મામલામાં સામ પિત્રોડા કહી રહ્યા છે કે, હુઆ તો હુઆ. આને લઈને દેશના લોકોમાં નારાજગી દેખાઈ રહી છે. મોદીએ કહ્યું હતું કે, સામ પિત્રોડાના નિવેદન બાદ દેશના લોકો હવે કહી રહ્યા છે કે, બહાર થઈ જવાની કોંગ્રેસની જરૂર છે. મોદીએ કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું હતું કે, જ્યારે પ્રજા જાગી જાય છે ત્યારે તમામ લોકોને બહાર કરી નાખે છે. ચૂંટણી રેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો આજે દેશના ખેડુતોની હાલત ખુબ સારી રહી હોત. ગુજરાતમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા અમે બનાવી ત્યારે તેનો વિરોધ શરૂ થઈ ગયો છે.  પ્રતિમા ઉપર કોંગ્રેસના કોઈ નેતા પહોંચ્યા નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, વિકાસના દરેક પ્રયાસમાં અડચણો ઉભી કરવાનું કામ કોંગ્રેસ પાર્ટીનું રહ્યું છે. જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, આરોગ્ય સાથે જોડાયેલી યોજના અને પાકા મકાન અપવાની યોજનાને લઈને અડચણો ઉભી કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. આ તમામ યોજનાઓને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારી મજાક ઉડાડવામા આવી છે. સાથે સાથે કામ રોકવાના પ્રયાસો કરવામાં આવે છે. આતંકવાદના મુદ્દા પર વાત કરતા મોદીએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે આતંકવાદીઓ કોઈ પણ જગ્યાએ બ્લાસ્ટ કરતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આતંકવાદીઓનો તેમના ઘરમાં જ ઘુસીને મારવામા આવે છે. આતંકવાદ અને નક્સલવાદ ને રોકવા માટે મજબુર નહી બલકે મજબુત સરકારની જરૂર દેખાઈ રહી છે. મોદીએ ગાજીપુરમાં પણ રેલી યોજી હતી. જેમાં મોદીએ દેશભરમાં ચર્ચા જગાવનાર અલવત ગેંગ રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપના લોકો દ્વારા માત્ર પોતાના પરિવારના વિકાસ માટે ધ્યાન આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રના વિકાસ માટે ક્યારે પણ ધ્યાન આપવામાં આવ્યું નથી પરંતુ જ્યારે દેશની સુરક્ષા સર્વોચ્ચ હોય છે ત્યારે પરમાણુ પરિક્ષણ અને આતંકવાદીઓના અડ્ડા પર હુમલા કરવા જેવા મોટા નિર્ણયોની હિંમત આવે છે. એનાથી જ અંતરિક્ષમાં પણ મિશન શક્તિની હિમત જાગે છે. ૨૧ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું. કોઈ પણ દેશ કમજોર સરકારની સ્થિતિમાં મજબુત બની શકે નહી. સરકાર જેટલી મજબુત રહેશે દેશ પણ એટલો શક્તિશાળી બનશે.

Previous articleઓરિસ્સા ચક્રવાત : ૫૦૦૦૦ કરોડથી વધુનુ નુકસાન થયુ છે
Next articleચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ : રાહુલ ગાંધીનો દાવો