પૂર્ણ બહુમતીની સરકાર પાંચ વર્ષ પછી ફરી ચૂંટાઈ આવશે : મોદી

521

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યાં હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની એક વખત ફરી દેશમાં સરકાર બનવા જઈ રહી છે. તેઓએ કહ્યું કે સરકારનું કામ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યું છે. જો કે આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાને એકપણ સવાલનો જવાબ ન આપ્યો. તેમને પૂછાતા સવાલના જવાબ પણ અમિત શાહે જ આપ્યા.

પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. જેની સૌથી મોટી તાકાત શું છે? આ કોઈ રાજકીય પાર્ટીનું કામ નથી. મારું માનવું છે કે આપણે દેશને દુનિયાની સમક્ષ લઈ જવું જોઈએ. ૨૦૦૯ અને ૨૦૧૪ની ચૂંટણીના કારણે આઇપીએલની મેચ દેશની બહાર યોજાઈ હતી. સરકાર સક્ષમ હોય તો આઇપીએલ, રમઝાન, બાળકોની પરીક્ષા અને નવરાત્રી પણ ચૂંટણી સમયે થાય છે.

વડાપ્રધાને કહ્યું કે, “ગત વખતે ૧૬ મેનાં રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. ૧૭ મેનાં રોજ ઘણી જ મોટી કેઝ્યુઅલ્ટી થઈ હતી. સટ્ટાખોરોને તે દિવસે અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. પહેલાં જે સટ્ટા બજાર ચાલતું હતું તે કોંગ્રેસની ૧૫૦ સીટ માટે અને ભાજપ માટે ૧૧૮ અને ૧૨૦ સીટ માટે ચાલતો હતો. મારા ખ્યાલથી જ ઈમાનદારીની શરૂઆત ૧૭ મેથી જ થઈ હતી.” આ ઉપરાંત મોદીએ ફક્ત ’મન કી બાત’ કહી અને પછી મોં સીવી લીધું.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને ઉતારવા નકલી ટેરર ચાર્જ વિરૂદ્ધ અમારો સત્યાગ્રહ છે. મારો કોંગ્રેસને સવાલ છે કે સમજૌતા એક્સપ્રેસમાં પહેલાં કેટલાંક લોકો પકડાયાં હતા, તેઓ એલટીટીઈ સાથે સંબંધો ધરાવતા હતા. વિદેશી એજન્સીઓએ પણ કહ્યું છે કે તેમાં એલટીટીઈ સાથે જોડાયેલાં લોકો હતા. ભગવા આતંકની વાત બકવાસ છે. અનેક લોકોને ૫ લાખની સહાય આપીને છોડવામાં આવ્યા. આ મુદ્દો કોંગ્રેસ સરકારે ઉઠાવ્યો હતો. આ જે ઘટના ઘટી તે માટે કોંગ્રેસ અધ્યક્ષે દેશની માફી માગવી જોઈએ.

અમિત શાહે વધુમાં કહ્યું કે આજે એક ઘણાં લાંબા, પરિશ્રમી, સફળ અને વિજયી ચૂંટણી અભિયાન પછી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છીએ. આઝાદી પછી જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ તેમાં આ વખતનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌથી મોટા ફલક પરનું હતું. મોદી સરકારને ફરીથી લાવવા માટે જનતાનો પરિશ્રમ સૌથી આગળ રહ્યો છે. શાહે વધુમાં કહ્યું કે, અમારી સરકારને ૫ વર્ષ સમાપ્ત થવા આવ્યાં છે. જનતાએ નરેન્દ્ર મોદીના પ્રયોગોને સ્વીકાર્યા છે. હું વિશ્વાસથી કહી રહ્યો છું કે ૨૦૧૪ની ચૂંટણીથી પણ વધુ બહુમતી મેળવી નરેન્દ્ર મોદી સરકાર ફરીથી સરકાર બનાવી રહ્યાં છે.ભાજપ અધ્યક્ષે કહ્યું કે, આ પહેલી એવી ચૂંટણી છે જ્યાં વિપક્ષ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચૂંટણી મુદ્દાઓ ન હતા. ઘણાં સમય પછી દેશની જનતાએ એવી ચૂંટણી જોઈ જેમાં આ મુદ્દાઓ જ ગાયબ હતા.

શાહે કહ્યું કે, “દેશના સન્માનને ઉંચાઈ પર લઈ જવાનું કામ અમે કર્યુ છે. ભારતને એક વિશ્વ શક્તિની જેમ સ્વીકૃતિ અપાવવાનું કામ દેશે કર્યુ છે. આજે કોઈ પણ પોતાને અસુરક્ષિત નથી અનુભવી રહ્યું. બધાં જ જાણે છે કે મોદીજીના સરકારમાં અમે સુરક્ષિત છીએ. દેશમાં કોઈ પણ વસ્તુની વાત હોય ઈન્ફ્રાસ્ટ્રકચરની હોય, ગરીબીની હોય, ખેડૂતની હોય, આદિવાસીની હોય કે ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર વ્યવસ્થાની હોય, બધે જ ક્ષેત્રે મોદી સરકારે કામ કર્યુ છે.”

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, “જનતાએ ફરી એક વખત મોદી સરકારનું સૂત્ર બદલીને વારંવાર મોદી સરકારનું સૂત્ર બનાવ્યું છે. વડાપ્રધાનના ચૂંટણી પ્રચારની વિગત આપું તો, લગભગ દેશનો કોઈ એવો ખૂણો બાકી રહ્યો નહીં હોય જેને ફેબ્રુઆરીથી મે સુધીમાં મુલાકાત ન કરી હોય. ૨૮ માર્ચ, ૨૦૧૯થી મેરઠથી અમે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી અને મોદીજીએ કુલ ૧૪૨ જનસભાને સંબોધિત કરી. જેમાં ૪ રોડ શો પણ હતા.”

Previous articleપીએમ મોદી નેતા નહી અભિનેતા,બચ્ચનને પીએમ બનાવ્યા હોત તો સારુ થાત : પ્રિયંકા
Next articleખંભીસર : દલિતોના વરઘોડાના વિવાદમાં અંતે ફરિયાદ દાખલ