કુલગામમાં અથડામણ : એક આતંકી ઠાર, બે પાકિસ્તાની જાસૂસ ઝડપાયા

441

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે સવારથી આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી જેમાં જવાનોને એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મળી છે. હજી પણ વિસ્તારમાં પાંચ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાએ લશ્કરે નાકાબંધી કરીને વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે. તાજેતરમાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.

લશ્કરને પોતાના સૂત્રો પાસેથી કુલગામના તાજિપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તાત્કાલીક ધોરણે સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ તરફથી થઈ રહેલા અંધાધૂંધ ગોળીબારનો જડબાતોડ જવાબ આપતા જવાનોએ એક આતંકવાદીને ઠાર કરી દીધો હતો.

બીજી તરફ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના હેતુસર ભારતમાં ઘુસી આવેલા બે વ્યક્તિઓની રતનુચક સૈન્ય સ્ટેશન પાસે આવેલા આર્મી કેમ્પ બહારથી ધરપકડ કરવામાં આવી હતી. જવાનોએ બંને જાસૂસને પોલીસને સોંપી દીધા હતા. પોલીસ બંને સંદિગ્ધ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે.

અનંતનાગ જિલ્લામાં મંગળવારે જવાનોએ અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

Previous articleવર્લ્ડ કપ મહાસંગ્રામની આજથી શરૂઆત
Next articleપાકમાં એલઓસી પર ૧૬ ત્રાસવાદી કેમ્પો ફરી સક્રિય