યુપી : અતિ પછાત જાતિઓને એસસીનો અપાયેલો દરજ્જો

387

ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકારે ૧૭ અતિ પછાત જાતિઓને અનુસુચિત જાતિમાં શામેલ કરવાનો આદેશ જારી કર્યો છે. આની સાથે જ ભાજપ સરકારે એક તીરથી અનેક શિકાર કરી લીધા છે. આ આદેશ મારફતે ભાજપ સરકાર અતિ પછાતમાં મજબુત રીતે પ્રવેશ કરવાની સાથે સાથે તેમનો વિશ્વાસ જીતી લેવાનો હેતુ ધરાવે છે. આ જાતિઓને ૧૪ ટકા વોટ બેંક તરીકે ગણવામાં આવે છે. આ આદેશને લોકસભા ચૂંટણીના ગાળા દરમિયાન અલગ થયેલી સોહેલ દેવ ભારતીય સમાજ પાર્ટીમાંથી વિધાનસભા ચૂંટણીમાં સંભવિત નુકસાનની ભરપાઈના પ્રયાસ તરીકે ગણવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં કુલ ૧૭ જાતિઓને અનુસુચિત જાતિઓનો દરજ્જો મળી ગયો છે. જેમાં રાજભર, પ્રજાપતિ, માછીમારો, ધીવર, નિશાદ અન્ય જાતિઓનો સમાવેશ થાય છે. આ તમામ જાતિઓની વસતી આશરે ૧૩.૬૩ ટકા છે. ચૂંટણીમાં આ જાતિઓના પ્રવાહથી જીત નક્કી થવાના સંકેત મળે છે. ઉત્તરપ્રદેશમાં ૧૩ નીશાદ જાતિઓની વસતી ૧૦.૨૫ ટકા છે.
જ્યારે રાજભરની વસતી ૧.૩૨ ટકા, કુંભારની વસ્તી ૧.૮૪ ટકા અને ગોડ જાતિની વસ્તી ૦.૨૨ ટકા છે. લાંબા સમયથી તેમની માંગણી રહી છે. તેમને એસસી અને એસટીની યાદીમાં સામેલ કરવામાં આવે. અતિ પછાત જાતિની રાજનીતિ કરનાર ઓમપ્રકાશ રાજભરનુ કહેવુ છે કે, પછાત જાતિઓમાં પણ અતિ પછાત હોવાના લીધે સમાજમાં તેમને યોગ્ય હિસ્સેદારી મળી શકતી નથી. ભાજપ સરકારના આ નિર્ણયને ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને યોગ્ય જવાબ આપવા તરીકે જોવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ બંન્ને પક્ષોના ગઠબંધનને પરાજીત કરી ચુકી છે. જોકે, લોકસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન થયુ ન હતું. જોકે, વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન બનશે તો ભાજપને નુકસાન થઈ શકે છે. સપા અને બસપાને મોટો ફટકો પડ્યો છે.

Previous articleઈરાનની સાથે ટેન્શન વચ્ચે અમેરિકાના વિમાનો તૈનાત
Next articleપહલુ ખાન સામે ચાર્જશીટ પ્રશ્ને રાજકીય ગરમી વધી