મુંબઈમાં ધોધમાર વરસાદ, એલર્ટ જાહેર

438

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારો તથા મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ આજે અંકબંધ રહ્યો છે. મુંબઈમાં વરસાદના પરિણામ સ્વરૂપે જનજીવનને અસર થઈ હતી. પરંતુ ટ્રેન સેવાને કોઈ અસર થઈ ન હતી. ઘાટકોપરમાં આસલફા ગામમાં વરસાદના કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. જ્યારે થાણેમાં અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે કેટલીક જગ્યાએ વૃક્ષો ધારાશાયી થયા હતા. થાણેમાં વિજળીના કરંટથી એકનુ મોત થયું હતું. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતાવણી જારી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં મુંબઈમાં ૨૩૫ મીમીથી વધુ વરસાદ પડી ચુક્યો છે. જે છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં શહેરમાં નોંધાયેલો બીજો સૌથી વધુ વરસાદ છે. મુંબઈ શહેર વરસાદની કરવામાં આવેલી આગાહી મુજબ ૪૯૩ મીમીના સરેરાશ વરસાદમાં માસિક આંકડાને પાર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિમાની સેવાને પણ હાલ કોઈ અસર થઈ નથી. જોકે, ભારે વરસાદ વચ્ચે મુંબઈ અને પુણે વચ્ચે દોડતી કેટલીક યાત્રી ટ્રેનોને રદ્દ કરવામાં આવી ચુકી છે. જે ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેમાં મુંબઈ-પુુણે પ્રગતિ એક્સપ્રેસ, મુંબઈ-પુણે સિહગઢ એક્સપ્રેસ, ભુસાવાલ-મુંબઈ પેસેન્જર અને પુણે-પાનવેલ પેસેન્જરનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનો રવિવારના દિવસે ચાલશે નહીં. કેટલીક ટ્રેનોને ડાયવર્ડ કરવામાં આવી છે.

જ્યારે મુંબઈ-ભુસાવલ પેસેન્જર ટ્રેનને ૧લી જુલાઈ સુધી રદ્દ કરવામાં આવી છે.

શોર્ટસકીટમાં ૨૪ કલાકમાં ૩૯ બનાવો અને વૃક્ષો ધરાશાયી થવાના ૧૦૪ બનાવ નોંધાઈ ચુક્યા છે. મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ રહેતા આજે શનિવારના દિવસે પણ અંધાધુની રહી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ સોમવારના દિવસે પડી શકે છે. જોકે, વિરામથી સ્થિતિ પણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં જ્યા જળબંકાળની સ્થિતિ સર્જાઈ ગઈ છે તેમાં અંધેરી સબવે વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્વિમી દરિયાકાંઠા પર મોનસુન જોરદાર રીતે સક્રિય છે. બંગાળના અખાતમાં ઓછા દબાણના લીધે નવી સ્થિતિ સર્જાઈ રહી છે જેથી ૪ જુલાઈ બાદ ફરીવાર ભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જો કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોેડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટિ્‌વટ કરીને કહેવામાં આવ્યુ  છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જો કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.

Previous articleભારે વરસાદને પગલે ઝૂંપડપટ્ટી પર દીવાલ ધરાશાયી થતા ૧૭નાં મોત
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીથી મ્યુઝીયમમાં પાણી