રાણપુરમાં પાણીની લાઈન લીકેજ ૭૦ ટકા પાણીનો વેડફાટ, લોકોમાં ભારે રોષ

504

બોટાદ જીલ્લાના રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર તાલુકા પંચાયતની સામે છેલ્લા છ મહીનાથી પીવાના પાણીની લાઈન મોટા પ્રમાણમાં લીકેજ હોવાથી હજ્જારો લીટર પાણી વેડફાઈ જાય છે.પચ્ચીસ હજારની વસ્તી ધરાવતા રાણપુરના લોકોને ભર ચોમાસે દસ દિવસે માંડ માંડ પાણી મળે છે.રાણપુરના સરપંચ દ્વારા પીવાના પાણી માટે અનેક વખત રજુઆતો કરવામાં આવી પણ આ લીકેજ લાઈન રીપેર નહી કરાતા જેના લીધે હજ્જારો લીટર પાણીનો વેડફાટ થાય છે.આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પગલા નહી લેવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુરમાં ભર ઉનાળે અને ચોમાસાનો પ્રારંભ થયો તો પણ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.દસ થી બાર દિવસે માંડ પાણી આવે છે.જ્યારે ધારપીપળા રોડ ઉપર બસ સ્ટેશન ના ચાર રસ્તા થી માર્કેટીંગ યાર્ડ સુધીમાં કેટલીય જગ્યાએ પીવાનું પાણી મોટા પ્રમાણ માં લીકેજ થાય છે જેના લીધે આગળના વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી ન આવતું હોવાની વ્યાપક ફરીયાદો છે જયારે રાણપુર તાલુકા પંચાયતની સામે જ સૌથી વધુ પાણી લીકેજ થાય છે.લોક ચર્ચા મુજબ હજ્જારો લીટર પાણી એક જ જગ્યાએ થી લીકેજ થાય છે.આવી લીકેજ લાઈનો તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તો આ વેડફાય રહેલા પાણીને બચાવી શકાય.જ્યારે વધુ માં મળતી માહીતી મુજબ થોડા સમય પહેલા જ મેઈન પાણીની લાઈન નવી નાંખવામાં આવી હતી અને બે જ દિવસમાં આ મેઈન લાઈન તુટી ગઈ હતી અને તરત પાછી બીજી લાઈન નાખવામાં આવી હતી.આ બાબતે તપાસ થવી જરૂરી છે.વારંવાર થતા ખોદકામ ને લીધે પણ પાણીની લાઈનો તુટી જાય છે.હવે જોવુ એ રહ્યુ કે સ્થાનિક તંત્ર લીકેજ થયેલી લાઈનો રીપેર કરે છે કે પછી પાણી નો વેડફાટ હજુ કેટલા દિવસ ચાલુ રહેવા દેશે.

તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવુ કહેવામાં આવ્યુ છેઃકલેક્ટર

આ બાબતે બોટાદ જીલ્લા કલેક્ટર સુજીતકુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે રાણપુરના ધારપીપળા રોડ ઉપર જે પીવાના પાણીની લાઈન લીકેજ છે અને મોટા પ્રમાણમાં પાણી વેડફાય જાય છે તેથી મે ત્યાના અધિકારીઓ સાથે વાત કરી છે અને લીકેજ લાઈન તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવુ કહેવામાં આવ્યુ છે.જ્યારે બીજી કોઈ જગ્યાએ લાઈન લીકેજ હશે તો તે પણ રીપેર કરવામાં આવશે.

Previous articleમહુવા ખાતે મુસ્લિમ એકતા મંચનુ ભવ્ય સંમેલન યોજાયું
Next articleખેડૂતવાસનો ગોડીયો ૪ જિલ્લામાંથી હદપાર