અલકાયદાની ધમકીને લઇ ચિંતાની કોઇપણ જરૂર નથી

496

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અલકાયદાના લીડર અલ જવાહરીની ભારતને આપવામાં આવેલી ધમકી અંગે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું છે કે, આવી ધમકીઓ વારંવાર આવતી રહે છે. ધમકીઓને પહોંચી વળવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ છે. જવાહરીએ બુધવારના દિવસે એક વિડિયો જારી કરીને કાશ્મીરમાં મુઝાહિદ્દીનોને ભારતમાં હુમલા કરવા માટે કહ્યું હતું. ભારતીય સેના અને સરકાર પર હુમલા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. રવિશકુમારે કહ્યું હતું કે, અમારા સુરક્ષા દળો ક્ષેત્રિય અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સાથે સાથે સક્ષમ પણ છે. આવી કોઇપણ પ્રકારની ધમકીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. આતંરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જવાહરીએ એક વિડિયો મેસેજ જારી કરીને કહ્યું છે કે, કાશ્મીરમાં મુઝાહિદ્દીનો ભારતીય સેના ઉપર હુમલા કરે તે જરૂરી છે. આ સંદેશો અલકાયદાના મિડિયા વિંગ અલસબાબ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જવાહરીએ એમ પણ કહ્યું હતું કે, કઇરીતે પાકિસ્તાન કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે. અલકાયદા તરફથી જારી કરવામાં આવેલા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, કાશ્મીરને ભુલી જવાની જરૂર નથી. જવાહરીએ કહ્યું છે કે, કાશ્મીરમાં મુઝાહિદ્દીનને વર્તમન સ્થળ પર માત્ર ભારતીય સેના અને સરકાર ઉપર હુમલા કરવા પર ધ્યાન આપવું જોઇએ. આનાથી ભારતીય અર્થવ્યવસ્થા કમજોર થશે. તેને ચીજવસ્તુઓની કમી થશે.

જવાહરીએ હાલમાં જ માર્યા ગયેલા ત્રાસવાદી ઝાકીર મુસાનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ અન્સાર ગજવતના સ્થાપકના ફોટા સ્ક્રીન ઉપર નજરે પડ્યા હતા. મુસા કાશ્મીર ખીણમાં અલકાયદાની જવાબદારી સંભાળી રહ્યો હતો. જવાહરીએ આ ધમકી આપ્યા બાદ કાશ્મીરી યુવાનો ઉપર તેની કોઇ અસર દેખાઈ રહી નથી. બુધવારના દિવસે ૫૫૦૦ જેટલા કાશ્મીરી યુવાનો સેનામાં ભરતી થવા માટે પહોંચ્યા હતા.

Previous articleહાથરોલ પાસે રણાસણથી પીપળીયા ગામે બાળકોને ઉતારવા જતી સ્કૂલવાનમાં આગ
Next articleપાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડીમાં ટક્કર; ૧૧ના મોત, ૬૦ ઘાયલ