કર્ણાટકમાં ટીપુ જ્યંતિ નહીં મનાવવા સરકારનો નિર્ણય

399

કર્ણાટકમાં નવી ભાજપ સરકારે ટીપુ સુલ્તાનની જન્મજ્યંતિ ન મનાવવાનો નિર્ણય કર્યો છે. ટીપુ સુલ્તાનની જ્યંતિ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આ અંગેનો મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. પ્રદેશમાં ૨૦૧૫માં સિદ્ધારમૈયા સરકારે ભાજપના વિરોધ બાદ પણ ટીપુ સુલ્તાન કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ટીપુ સુલ્તાન સાથે સંબંધિત કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. હવે રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, ટીપુ સુલ્તાન જ્યંતિ મનાવવાની કોઇ પરંપરા રહી નથી જેથી હવે આ કાર્યક્રમ ઉજવવામાં આવશે નહીં. બીજી બાજુ સિદ્ધારમૈયાએ ભાજપ સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.

કડગુના ધારાસભ્ય જી બોપૈયા મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે, ટીપુ સુલ્તાન જ્યંતિ કોઇ કિંમતે ઉજવવી જોઇએ નહીં. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, કડગુના સ્થાનિક નિવાસી ટીપુ જ્યંતિનો વિરોધ કરવો જોઇએ. કડગુના લોકોએ પણ ટીપુ સુલ્તાનની જ્યંતિ નહી મનાવવા રજૂઆત કરી હતી.

કડગુના લોકોની સામે ટીપુ સુલ્તાને કોઇપણ કારણવગર યુદ્ધ છેડી દીધું હતું જેમાં મોટી સંખ્યામાં કડગુ લોકોના મોત થયા હતા. કોંગ્રેસે ભાજપ સરકારના નિર્ણયને ભગવાકરણની રાજનીતિ કરવાનો આરોપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, તેઓ પોતાના સ્તર પર ટીપુ જ્યંતિ મનાવતા રહેશે. ટીપુ સુલ્તાન દેશના સાચા સપૂત હતા. તેઓએ અંગ્રેજોની સામે સંઘર્ષ કર્યું હતું. સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, અમે હંમેશા ટીપુ સુલ્તાન જ્યંતિ મનાવતા રહીશું. ભાજપ હંમેશા લઘુમતિ લોકોની સામે રહી છે. અમે સરકારના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસના શાસનકાળમાં ૨૦૧૫માં ટીપુ જ્યંતિ મનાવવાની શરૂઆત કરાઈ હતી.

Previous articleપાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારમાં સેનાનું વિમાન ક્રેશઃ ૧૭ના મોત
Next articleઉન્નાવ ગેંગરેપના સંદર્ભમાં ફરી લોકસભામાં ભારે હોબાળો થયો