૩૭૦ બાદ રામ મંદિર અને કોમન સિવિલ કોડ ઉપર નજર

411

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ભાજપ અને સંઘનુ એક મોટુ કામ આખરે પૂર્ણ થઇ ગયુ છે. આ કામને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. માંગ પણ કરવામાં આવી રહી હતી. વર્ષોથી કલમ ૩૭૦ની નાબુદી ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં સામેલ હતી પરંતુ સફળતા મળી રહી ન હતી. મોદી સરકારની બીજી અવધિની શરૂઆત થયા બાદ તરત જ આને નાબુદ કરવામાં આવી છે.  ભારતીય જનતા પાર્ટીએતેના ઘોષણાપત્રમાં પણ કલમ ૩૭૦ને નાબુદ કરવાની વાત કરી હતી. જેથી જ જ્યારે કલમ ૩૭૦ની નાબુદી મુદ્દે જ્યારે રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ નિવેદન કરી રહ્યા હતા ત્યારે તેઓએ જનસંધના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ કહ્યુ હતુકે મુખર્જીએ એક વખતે કહ્યુ હતુ કે એક દેશમાં બે પ્રધાન અને બે બંધારણ હોઇ શકે નહીં. રાજયસભામાં અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કર્યા બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુહતુ કે સરકારના સાહસી પગલાનુ અમે સ્વાગત કરીએ છીએ. આ પગલુ જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર દેશ માટે જરૂરી હતુ. તમામ રાજકીય પક્ષો અને લોકોએ તેમના સ્વાર્થ અને રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને આને ટેકો આપવાની જરૂર છે. સંઘ દ્વારા કલમ ૩૭૦ને દુર કરવા  અને લડાખને અલગ કરવાની માંગ પહેલાથીજ કરવામાં આવી છે. સંઘ દ્વારા આ સંબંધમાં પ્રસ્તાવ પોતાની અખિલ ભારતીય જન પ્રતિનિધીસભામાં વર્ષ ૨૦૦૨માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આને તરત જ પાસ પણ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા કલમ ૩૭૦ની નાબુદી બાદ નવી રણનિતી પર કામ કરનાર છે. હવે રામમંદિર અને કોમન સિવિલ કોડ પર મોદી સરકાર નજર કરનાર છે. હવે સમાન નાગરિક સંહિતા બનાવવા પર કામ થનાર છે.  તમામ આને લઇને પણ આશાવાદી છે. સંઘ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષોથી કલમ ૩૭૦ને ખતમ કરવાને લઇને ઝુંબેશ ચલાવી હતી. હવે કલમ ૩૭૦ ખતમ થઇ ગયા બાદ આગામી એજન્ડા ઉપર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. સામાન્ય લોકોને પણ આશા દેખાઈ રહી છે કે, આવનાર દિવસોમાં રામ મંદિર અને સિવિલ કોડ જેવા મુદ્દા ઉપર મોદી સરકાર ઝડપથી આગળ વધશે. આ બંને મામલા પણ વર્ષોથી અટવાયેલા છે અને નિકાલ આવી રહ્યો નથી. એવા અહેવાલ પણ આવ્યા છે કે, ત્રિપલ તલાક પર કાયદો બની ગયા બાદ હવે સમાન નાગરિક સંહિતા અથવા તો કોમન સિવિલ કોડ ઉપર સરકાર આગળ વધશે. જનસંખ્યા નિયંત્રણ કાનૂન પણ લઇને આવનાર છે. સંઘના નેતાઓનું કહેવું છે કે, હવે એવું લાગી રહ્યું છે કે, વહેલીતકે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ પણ મોકળો થઇ જશે. કારણ કે, સુપ્રીમ કોર્ટમાં દરરોજના આધાર પર સુનાવણી ચાલી હતી છે. કોર્ટનો ચુકાદો આવતાની સાથે જ સરકાર કંઇપણ થાય અયોધ્યામાં રામ  મંદિરની દિશામાં આગળ વધી જશે.

Previous articleદેશ લોકોથી બને છે, જમીનના કોઇપણ પ્લોટથી નહીં : રાહુલ
Next article૩૭૦ : જમ્મુ કાશ્મીર ઉપર પ્રશ્નોને લઇ અધિર ફસાયા