વાજપેયીને પ્રથમ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ

454

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથી પર આજે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામા ંઆવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યોએ તેમના સમાધિ સ્થળ પર જઇને પુષ્પાંજલિ આપી હતી. તેમની યાદ આજે ફરી એકવાર તાજી થઇ હતી. વડાપ્રધાનની સાથે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ પહોંચી ગયા હતા. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રિય પ્રધાન રાજનાથસિંહ પણ સૌથી પહેલા પહોંચનાર પૈકી રહ્યા હતા. સદેવ અટલ રાજઘાટ નજીક સ્થિત અટલ સમાધિ સ્થળ પર તેમની કવિતાઓને પણ અંકિત કરવામાં આવી છે. પથ્થર પર એક એવી લાઇન મુકવામાં આવી છે જેમાં લખવામાં આવ્યુ છે કે વ્યક્તિની ઓળખ તેની સંપત્તિ અથવા તો આસન સાથે થતી નથી. તેના મનથી થાય છે. મનની ફકીરી પર  કુબેરની સંપત્તિ રડે છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે આજ દિવસે તેમનુ અવસાન થયુ હતુ.કાલ કે કપાલ પર લિખને મિટાને વાળો અટલ અવાજ ગયા વર્ષે આ જિવસે હંમેશ માટે ખામોશ થઇ જતાં દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.

છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન ડિમેન્શિયા નામની બિમારીથી ગ્રસ્ત હતા. આ બિમારીમાં કોઇપણ વ્યક્તિ ભુલવાની ટેવ ધરાવે છે અને વિચારવા અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. ડિમેન્શિયા કોઇ ખાસ બિમારીનું નામ નથી પરંતુ એવા લક્ષણોને કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની યાદશક્તિ કમજોર થઇ જાય છે અને પોતાના દરરોજના કામ યોગ્યરીતે કરી શકતા નથી. તેમનામાં શોર્ટટર્મ મેમરી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ડિમેન્શિયાના મોટાભાગના કેસોમાં ૬૦થી ૮૦ ટકા કેસ અલમાઇજરના હોય છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિના મૂડમાં વારંવાર ફેરફાર થાય છે. તેઓ વહેલીતકે પરેશાન થઇ જાય છે. આ પ્રકારના લોકો મોટાભાગે ઉદાસ રહે છે.૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી.

૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.વાજપેયીને આજે દેશભરમાં લોકોએ યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

Previous articleઅંકુશ રેખા પર પાકિસ્તાનનો ગોળીબાર : સ્થિતી વિસ્ફોટક
Next articleસ્કુલ-ટેલિફોન પરથી અંકુશ ટૂંકમાં હટાવાશે :મુખ્ય સચિવ