ભાવનગરના કંસારા નાળાનું સજીવીકરણ કરવા રાજ્ય સરકાર દ્વારા મંજુરી અપાઇ

791

ભાવનગર શહેરની કંસારા નાળાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે કંસારા નાળાના સજીવીકરણની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજુરી આપી છે. શહેરની મધ્યમાંથી પસાર થતું કંસારા નાળુ ગંદા પાણીના વહેણને કારણે ગંદકીનું નાળું બન્યું હતું. જેના કારણે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોનો શહેરીજનો ભોગ બનતા હતા. હવે આ પ્રોજેક્ટ થકી શહેરના આશરે ત્રણ લાખ લોકોની આરોગ્યલક્ષી સમસ્યાઓનું નિરાકરણ આવશે.

કંસારા નાળા પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપતા રાજ્ય મંત્રી  વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે રૂપિયા ૪૧.૧૫ કરોડ નો આ પ્રોજેક્ટ બોર તળાવ વેસ્ટવિઅરથી આનંદનગર સુધીનો ૮.૨૦ કી.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેક્ટ બનશે જેમાં ૧૨ જેટલા ચેકડેમ બનાવવામાં આવશે.કંસારા નાળાના શુદ્ધિકરણની સાથે-સાથે તેનું સજીવીકરણ તેમજ નવીનીકરણ પણ કરવામાં આવશે. આ નાળામાં દર ૩૦૦ મીટરના અંતરે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેના થકી બોરતળાવના વેસ્ટવિઅરમાંથી ભારે વરસાદને કારણે આવતા પૂરથી રાહત મળશે તેમજ ભૂગર્ભજળ નિયંત્રણ થશે અને આસપાસના વિસ્તારોના તળ ઉંચા આવશે.તેમજ કંસારા નાળાની બંને તરફ વૃક્ષારોપણ કરવામાં આવશે જેના થકી પર્યાવરણનું પણ શુદ્ધિકરણ થશે.

Previous articleમાનસમાં વેદ દ્રશ્યમાન થાય છે- પૂજ્ય મોરારીબાપુ
Next articleખોજાવાડમાં મહેંદી મુબારકના ફળ લેવાની વિધી કરાઈ