દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ : વિજ વ્યવસ્થા ઠપ્પ

413

દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. એકબાજુ પુણેમાં પુરની સ્થિતિ થયેલી છે જ્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાં પણ પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. હૈદરાબાદમાં પણ પુર જેવી સ્થિતિ છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ભારે વરસાદ થયો છે. ટુંકાગાળામાં જ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં ૪૩થી વધુ લોકોના મોત પુર સંબંધિત બનાવોમાં થઇ ચુક્યા છે. સામાન્યરીતે પહેલી સપ્ટેમ્બરથી મોનસુનની વાપસીનો ગાળો શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ જારી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. બચાવ અને રાહત કામગીરી તમામ જગ્યાઓએ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશના લખનૌ, વારાણસી, ગોરખપુર, દેવરિયા સહિત ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. લખનૌ અને વારાણસીમાં સ્કુલ કોલેજો બંધ છે. એકલા ઉત્તરપ્રદેશમાં નવ લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી બાજુ હૈદરાબાદમાં પુર જેવી સ્થિતિ છે. અહીં જનજીવન ખોરવાયેલું છે.  અહીં પણ ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે. બિહારમાં પણ હાલત કફોડી બનેલી છે. સપ્ટેમ્બર મહિનાની પૂર્ણાહૂતિ થઇ રહી છે. એટલે કે મોનસુનની વિદાય થઇ રહી છે પરંતુ આ વખતે મોનસુન છેલ્લા ૬૦ વર્ષમાં સૌથી લાંબા ગાળા સુધી ચાલનાર છે. મોનસુન અસામાન્યરીતે મોડેથી પૂર્ણ થવાની બાબત સારા સંકેત નથી. ખાસ કરીને ખેડૂતોને માટે આ ખુબ જ નિરાશાજનક સમાચાર છે. આનાથી ખરીફના ઉત્પાદન પર માઠી અસર થશે. એકલા પુણેમાં ૨૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. કુલ ૩૦થી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સમગ્ર દેશમાં મોનસુનની વિદાય પશ્ચિમી રાજસ્થાનથી પહેલી સપ્ટેમ્બરની આસપાસ થઇ જાય છે પરંતુ આ વખતે પશ્ચિમી રાજસ્થાનમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ પહેલા આટલા મોડે સુધી મોનસુનની વિદાય ૧૯૬૦માં થઇ હતી. જુદા જુદા રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. પૂણે ઉપરાંત લખનૌ અને અન્ય વિસ્તારોમાં જનજીવન ખોરવાયેલું છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. સ્કુલ કોલેજોને બંધ રાખવાનો આદેશ કરાયો છે. શહેરના જુના વિસ્તારોથી લઇને વીઆઈપી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે. ચંદોલીમાં ત્રણ, અમેઠીમાં બે, ભદોઈમાં બે, વારાણસી અને અયોધ્યામાં એક-એકના મોત થયા છે. ચંદોલીમાં આજે સવારે ચાર વાગે દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. વિવિધ વિસ્તારોમાં વિજળી ડુલ થઇ ગઇ છે. મહારાષ્ટ્રના પુણેમાં સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Previous articleઅમે યુદ્ધ નહીં બુદ્ધ આપનાર : મોદી
Next articleહવે ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન કાર્યરત કરાશે