ચાવડી ગેટ પાસે યુવાનની હત્યા કરનારા બે શખ્સોની ધરપકડ

793

ભાવનગરમાં ગઈકાલે મોડી સાંજે એક મુસ્લિમ યુવાનને સરાજાહેર પોલીસ સ્ટેશન પાસે જ ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી. બનાવનાં પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉમટ હતા. આ બનાવ મૃતક યુવાનની બહેનનાં સામાજીક ઝગડાનાં કારણે બન્યું હોવાનું પોલીસ સમક્ષ ખુલ્યું છે. પોલીસે મૃતકનાં ભાઇની ફરિયાદનાં આધારે બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યાનાં આરોપીઓ ચક્રોગતિમાન કરી ઝડપી પડ્યા હતા.

ઘટનાને વિગતે જોઈએ તો શહેરનાં બોરતળાવનાં ધોબી સોસાયટીમાં રહેતો મુસ્લિમ યુવાન અબ્દુલવહાબ ફકીરમહંમદ શેખ (ઉ.વ.૩૫) સાંજે તેના એકટીવા નં.જી.જે.૦૪ સીઇ-૫૯૦૧ લઇ શહેરનાં મતવા ચોક તરફ જઇ રહયો હતો. ત્યારે એસ.ટી સ્ટેન્ડ થી ચાવડી ગેટ તરફ જવાનાં રસ્તે પોલીસ ચોકીથી થોડે દુર ઢસી આવેલા બે શખ્સોએ રીવોલ્વર વડે ફાઇરીગ કરી આ યુવાનને ગળાનાં ભાગે ગોળી ધરબી દીધી હતી. આથી આ યુવાન લોહીલુહાણ થઇને ઢળી પડ્યો હતો. દરમ્યાનમાં એક રીક્ષા ચાલકે તેને રીક્ષામાં નાખી તેને સર.ટી હોસ્પિટલ પહોંચાડેલ જ્યાં ઇજાગ્રસ્ત અબ્દુલવહાબનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકનાં ભાઇ વસીમ ફકીરમહંમદ શેખ (રે.ધોબી સોસાયટી બોરતળાવ)એ નિલમબાગ પોલીસ મથકમાં પોતાનાં ભાઇનાં હત્યારા તરીકે મુસ્તુફા ગફારભાઇ ઘોઘારી અને તોસીફ ઉર્ફે જીંગો દિલાવરભાઇ કુરેશી (રે.બન્ને ભાવનગર) સામે પોતાના ભાઇને ફાયરીગ કરી મોતને ઘાટ ઉતારી દીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૦૨ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન ની બેન રીસામણે આવેલી હોય અને તેણીએ ભરણ-પોષણનો કેસ કરતાં તેનાં પતિ સામે અદાલતનું ધરપકડ વોરંટ નિકળતા તેની દાઝ રાખી અદાવતમાં આ યુવાનનું ઢીમ ઢાળી દેવાયાનું આ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ભાવનગરમાં અવારનવાર ફાયરીંગની ઘટનાઓ બનતી જાય છે. જેમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે ત્યારે આ ગેરકાયદે હથીયારો ક્યાંથી આવી રહ્યા છે અને સરળતાથી કઈ રીતે મળી રહ્યા છે તેનું મૂળ શોધવાની પોલીસને ખાસ જરૂર છે. જો આ દિશામાં પોલીસ ઊંડી ઉતરી તપાસ આદરે તો મોટુ નેટવર્ક કેટલાક પરપ્રાંતીય લોકો દ્વારા ચલાવાઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસે હત્યાનાં આરોપીઓને નારી ચોકડી પાસે ગત ઝડપી ધોરણસરની કાર્ય વહી હાથધરી.

Previous articleભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં ઠરાવોને સર્વાનુમતે મંજુરી
Next articleપોલીસ ગ્રાઉન્ડમાં આદ્યશક્તિની આરાધના સાથે રાસ-ગરબાની રમઝટ