કમલેશ તિવારી મામલામાં મહત્વના પુરાવા મળ્યા છે

370

હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં વધુ પુરાવા હાથ લાગ્યા છે. લખનૌ સ્થિત હોટલ ખાલસાથી કેટલીક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે જેમાં એક બેગ અને લોહીથી ખરડાયેલા ભગવા વસ્ત્રો મળી આવ્યા છે. હાલમાં પોલીસની સાથે ફોરેન્સિક ટીમ હોટલ પહોંચીને ચીજવસ્તુઓની ચકાસણી કરી રહી છે. હોટલના માલિકની પાસેથી આરોપીઓના આઈડી પણ મળ્યા છે જેના પર નામની સાથે સુરતના સરનામા નોંધવામાં આવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, આરોપી આ હોટલમાં રોકાયા હતા. અહીંથી ભગવા વસ્ત્રો પહેરીને તેઓ કમલેશ તિવારીને મળવા માટે પહોંચ્યા હતા. હત્યા બાદ આરોપી ફરી આ હોટલમાં આવ્યા હતા અને વસ્ત્રો બદલીને ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે કમલેશ તિવારીના પરિવારના સભ્યો પહોંચ્યા હતા. મુલાકાત બાદ કમલેશના પત્નિ કિરણ તિવારીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે, ચોક્કસપણે ઇન્સાફ કરવામાં આવશે. અમે હત્યારાઓ માટે આજીવન કેદની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે, હત્યારાઓને અતિ કઠોર સજા કરવામાં આવશે.

કમલેશના પરિવારે કમલેશના મોટા પુત્રને નોકરી અને આર્થિક મદદની માંગ પણ કરી છે. પરિવારે લખનૌમાં એક આવાસ, હત્યાની એનઆઈએ તપાસ, ઘટના બાદ પરિવારના સભ્યો અને અન્ય લોકો ઉપર લાઠીચાર્જની ઘટનામાં ન્યાયિક તપાસ અને કસ્ટડીમાં લેવામાં આવેલા હિન્દુવાદી કાર્યકરોને તરત છોડી મુકવાની માંગ કરી છે. ૨૪ કલાકમાં પરિવારની સુરક્ષા અને હથિયાર લાયસન્સની માંગ કરવામાં આવી છે. પરિવાર તરફથી કેટલીક રજૂઆતો પણ કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત એટીએસે હત્યામાં સામેલ રહેલા કાવતરાખોરોને પકડી પાડ્યા છે અને કહ્યું છે કે, હુમલાખોરો કમલેશ તિવારીના ઉશ્કેરણીજનક કૃત્યોથી નાખુશ હતા.

Previous articleમહારાષ્ટ્ર અને હરિયાણામાં સઘન સુરક્ષા વચ્ચે આજે મતદાન યોજાશે
Next articleદિવાળી પહેલા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો