મહુવાના વતની બિલ્ડરને ડે.કલેકટરની ઓળખ આપી એક કરોડનો ચોપડયો ચુનો

323

ડેપ્યુટી કલેકટર તરીકે ઓળખ આપી ઠગ મહિલાએ મૂળ ભાવનગરના મહુવાના તાલુકાના વતની અને કતારગામના બિલ્ડરને નવસારીમાં સરકારી પડતર જમીન અપાવવાના બહાને ૧ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. કતારગામ-સિંગણપોર રોડ પર અશોકનગર સોસાયટીમાં રહેતા અને ભાવનગરના મહુવાના મોટી વડાળ ગામના વતની ગુણવંત વલ્લભભાઈ આંબલિયા વ્યવસાયે બિલ્ડર છે. ૨૦૧૬માં તેમના એડવોકેટ મિત્ર નિલેશ પીપલિયાની ઓફિસમાં રામદેવસિંહ ઉમટ (રહે. ચ-ટાઈપ સેક્ટર-૨૨,ગાંધીનગર) સાથે મુલાકાત થઈ હતી. રામદેવસિંહ ગાંધીનગરમાં રેવન્યુ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. તેઓ જમીનને લગતા સરકારી કામકાજ કરતા હોવાનું જણાવી નવસારીમાં સિસોદ્રા ગામની તળાવની સરકારી પડતર જમીન વેચાણથી અપાવવાની વાત કરી હતી. તે માટે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું કહીને અરજી કરતી વખતે એડવાન્સમાં એક કરોડ રૂપિયા આપવા જણાવ્યું હતું.બાકીના રૂપિયા કામ પુરૂ થયા બાદ આપવાનું કહી આ કામ માટે એક વર્ષ લાગશે એવું કહ્યું હતું. ત્યાર બાદ રામદેવસિંહે નેહાબેન વાઢેર સાથે મુલાકાત કરાવી તેની ઓળખ ડેપ્યુટી કલેક્ટર (વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ) તરીકે આપી હતી. નેહાએ કહ્યું કે, તે હાલ સસ્પેન્ડ છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, તમારું એક કામ કરાવું પછી બીજા કામ કરીશું. ગુણવંતભાઈએ એક કરોડ રૂપિયા રામદેવસિંહ અને નેહાને આપ્યા હતા. ત્યાર બાદ નેહા અને રામદેવસિંહ તેમને કહેતા કે, પ્રોસેસ ચાલુ છે. પરંતુ જમીન અપાવી ન હતી. ત્યાર બાદ નેહાએ કામ ન થતા રૂપિયા પરત આપવાની બાહેંધરી આપી હતી.શરૂઆતમાં ૩૬ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. પરંતુ નેહાએ તે સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હોવાથી રિટર્ન થયો હતો. ગુણવંતભાઈએ નેહા વાઢેર (નેહા તે ધર્મેશ ભરત પટેલની પત્ની) રહે.મોતા રોડ,બાબેન ગામ, બારડોલી તથા સુમન સાગર, સુડાના મકાનમાં, ઉધના-મગદલ્લા રોડ) અને રામદેવસિંહ લક્ષ્મણ ઉમટ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં બોગસ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે રામદેવસિંહની ધરપકડ કરી છે.નેહાએ બે વર્ષ પહેલા પણ અડાજણ વિસ્તારના એક યુવક સાથે આવી રીતે છેતરપિંડી કરી હતી.
તે સમયે નેહા વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.

Previous articleનેસવડ રોડ પર આવેલા ભંગારના બે ગોડાઉનમાં આગ ભભુકી
Next articleકાળીયાબીડ વિરાણી ચોક ખાતે સ્વ. માધુભા વિભાજીની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાજંલી કાર્યક્રમ યોજાયો