બધી બેન્કોનું ખાનગીકરણ નહીં થાય, કર્મીના હિતોનું રક્ષણ થશે

243

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૬
કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોના ખાનગીકરણના નિર્ણયનો બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ વચ્ચે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મહત્વનો ખુલાસો કર્યો છે.
નાણાં મંત્રીએ આ મુદ્દે ભરોસો અપાવ્યો હતો કે દેશની તમામ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને જે બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેના તમામ કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રીમંડળના નિર્ણય અંગે વધુ માહિતી આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશમાં કેટલીક બેન્ક સારુ પ્રદર્શન કરી રહી છે, પરંતુ કેટલીક બેન્કો એવી પણ છે જે પડકારોનો સામનો રહી છે અને ગ્રાહકોની જરુરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ નથી. તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં ઉચ્ચ સ્તરની બેન્કોની જરુરિયાતને પૂરી કરવા માટે તેમનું વિલિનીકરણ કરવામાં આવી રહ્યું છે.
, જેથી મોટી બેન્કોના અસ્તિત્વ હેઠળ ગ્રાહકોની જરુરિયાતો સંતોષાય. બેન્કોના ખાનગીકરણના નિર્ણય પર સ્પષ્ટતા આપતાં સીતારમણે જણાવ્યું હતું કે, બે બેન્કોના ખાનગીકરણનો નિર્ણય સમજી-વિચારીને લેવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવામાં કોઇ ઉતાવળ કરવામાં આવી નથી. સરકાર આ ક્ષેત્રે ઇચ્છે છે કે, બેન્ક દેશની આકાંક્ષાઓ પર ખરી ઉતરે. આ દરમિયાન તેમણે ભરોસો અપાવ્યો હતો કે ખાનગીકરણ હેઠળ આવતી બેન્કોના વર્તમાન કર્મચારીઓના હિતોની સંપૂર્ણ રક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેના વિરોધમાં બેન્કોના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતરી ગયા હતા. તેમના આ નિર્ણયને લીધે દેશભરમાં આર્થિક વ્યવહારો પર ગંભીર નકારાત્મક અસર જોવા મળી હતી. જે પછી નાણાં મંત્રી સીતારમણે આ અંગેના ખુલાસા કરવા પડ્યા હતા.

Previous articleમોટા ઈન્ફ્રા પ્રોજેક્ટસને ફંડ આપવા નવી નેશનલ બેંક ઊભી કરવા નિર્ણય
Next articleભારતમાં કોરોનાએ ગતિ પકડીઃ ૨૪ કલાકમાં ૨૪ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા