સમેટાઈ રહેલી કોંગ્રેસનો ખજાનો હવે ખાલી થઈ ગયો છે : મોદી

345

(સં. સ. સે.) બોકાખાટ,તા.૨૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દાવો કર્યો કે દેશ અને રાજ્યોના વિભિન્ન ભાગોમાં સતત સમેટાઈ રહેલી કોંગ્રેસનો ખજાનો હવે ખાલી થઈ ગયો છે. આથી તેને ભરવા માટે તે કોઈ પણ ભોગે સત્તામાં પાછી ફરવા માંગે છે અને આ માટે તે ગમે તેની સાથે સમાધાન કરી શકે છે. એનડીએના ઉમેદવારોના પક્ષમાં અસમના બોકાખાટમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાઓ પર કોંગ્રેસની સરકાર હતી ત્યારે અસમને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવ્યું. તે સમયે રાજ્યના લોકોની ન તો અહીં સુનાવણી થતી હતી કે ન કેન્દ્રમાં. તેમણે દાવો કર્યો કે આજે કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવાના કારણે અસમ વિકાસના રસ્તે ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હવે હાઈવે બનાવવામાં બમણી ક્ષમતાથી કામ થઈ રહ્યું છે. કારણ કે અસમ સરકાર પણ અસમને દેશ સાથે જોડી રહી છે અને કેન્દ્ર સરકાર પણ. હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્પીડ પણ બમણી છે કારણ કે અસમ સરકાર પણ વિકાસમાં લાગી છે અને કેન્દ્ર સરકાર પણ. હવે દરેક માથે છત અને દરેક ઘરે જળ જેવા કામ પણ બમણી ક્ષમતાથી થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બધાનો સાથ બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ મંત્ર સાથે આગળ વધી રહી છે પરંતુ આજના કોંગ્રેસના નેતાઓને ફક્ત સત્તા સાથે મતલબ છે, તે ગમે તે રીતે મળે. તેમણે કહ્યું કે અસલમાં કોંગ્રેસનો ખજાનો હવે ખાલી થઈ ગયો છે. તેને ભરવા માટે તેને કોઈ પણ ભોગે સત્તા જોઈએ છે. કોંગ્રેસની દોસ્તી ફક્ત ખુરશી સાથે છે. અહીં તેનો કારોબાર છે, તેની પાસે ન તો નેતૃત્વ છે ન તો દ્રષ્ટિ. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કરાયેલા પાંચ ગેરંટના વચનોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ૫૦ વર્ષથી વધુ અસમ પર રાજ કરનારા લોકો આજકાલ રાજ્યની જનતાને ૫ ગેરંટી આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે અસમના લોકોની નસ નસથી વાકેફ છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકોને ખોટા વચનો આપવાની, ખોટા ઘોષણાપત્ર બનાવવાની આદત પડી ગઈ છે. કોંગ્રેસ એટલે ખોટું ઘોષણાપત્રની ગેરંટી. કોંગ્રેસનો મતલબ ભ્રમની ગેરંટી. કોંગ્રેસનો મતલબ અસ્થિરતાની ગેરંટી, કોંગ્રેસનો મતલબ બોમ્બ, બંદૂકો અને નાકેબંધીની ગેરંટી. કોંગ્રેસનો મતલબ હિંસા અને અલગાવવાદની ગેરંટી. કોંગ્રેસનો મતલબ ભ્રષ્ટાચાર અને કૌભાંડની ગેરંટી. પ્રધાનમંત્રીએ અસમની જનતાને કોંગ્રેસને દૂર રાખવાની અપીલ કરી અને કહ્યું કે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારી આ પાર્ટી અસમ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં સંપ્રદાયના આધારે બનેલા પક્ષો સાથે મિત્રતા કરે છે. તેમણે કહ્યું કે સત્તાની સામે તેમને કશું દેખાતું નથી. ઝારખંડમાં, બિહારમાં, મહારાષ્ટ્રમાં, જેમની સાથે તેમના ગઠબંધન છે તેઓ પશ્ચિમ બંગાળમાં તેમના વિરુદ્ધ પ્રચાર કરે છે. કેરળમાં તેઓ ડાબેરી પક્ષોના વિરોધી છે, અને પશ્ચિમ બંગાળમાં ખુરશીની આશાએ ગળે મળે છે. આ કારણે હવે કોંગ્રેસ પર દેશમાં કોઈ ભરોસો કરતું નથી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એનડીએએ અસમના વિકાસને નવી ગતિ આપી છે અને આ વખતે એનડીએના ઉમેદવારને આપેલો દરેક મત અસમના ઝડપી વિકાસ માટે મત હશે. તેમણે કહ્યું કે એનડીએને મળનારી તાકાત અસમની આત્મનિર્ભરતાને ઉર્જા આપશે. તે ઉદ્યોગ રોજગારની તકોને વધારશે. અત્રે જણાવવાનું કે ભાજપ અસમ ગણ પરિષદ અને યુપીપીએલ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યો છે.

Previous articleદીદી પોતાના ભત્રીજાને સીએમ બનાવવા માંગે છે : અમિત શાહ
Next articleદેશમુખના ભાવિનો નિર્ણય ટૂંક સમયમાં, પરમબીરે લગાવેલા આરોપો ગંભીરઃ પવાર