૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત એપ્રિલ અને મે માસની અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૦૫/૦૪ને સોમવારનાં રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે બપોરે ૦૪ઃ૩૦ કલાકે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ લાભુભાઈ ટી. સોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે મંડળનો આ અનાજકીટ વિતરણનો ૮૩મો માસિક કાર્યક્રમ છે. દરમહિને વિવિધ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુઓને અવિરત રીતે અનાજકીટ અપાય છે તેની ખુશી વ્યક્ત કરતા તેમણે આ વખતના દાતા ગોકળદાસ શામળદાસ મોદી ઇન્દીરાબેન મોદી તેમજ હર્ષદરાય ત્રિવેદી હઃ સુશીલાબેન ત્રિવેદીનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.