યાસથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા મોદી બંગાળની મુલાકાતે

303

(સં. સ. સે.) કોલકાતા, તા. ૨૮
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંગાળમાં ચક્રવાત ’યાસ’ દ્વારા થયેલા નુકસાનના આકારણી માટે બોલાવેલી બેઠકમાં હાજર રહ્યા ન હતા, જોકે તેમણે પીએમ મોદીને અલગથી મળ્યા હતા અને પ્રાંતના દિઘા અને સુંદરવન વિસ્તારોના વિકાસ માટે ૧૦-૧૦ હજાર કરોડના પેકેજની માગ કરી હતી જે વાવાઝોડાથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંધ્યોપાધ્યાય સાથે મમતા ૩૦ મિનિટ મોડાં કાલિકુંડ એરફોર્સ બેઝ પર પહોંચ્યાં હતાં. તેઓ બેઠક પૂર્વે પીએમ મોદીને અલગથી મળ્યા અને યાસ દ્વારા બંગાળને થયેલા નુકસાન અંગેનો પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો. મમતાએ દિખા અને સુંદરવન માટે કુલ રૂ .૨૦,૦૦૦ કરોડના પેકેજની માગ કરી હતી અને ત્યારબાદ દિખામાં વહીવટી બેઠકની રજૂઆત કરીને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ ગયાં હતાં.
ભાજપના નેતા અને બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને મીટિંગમાં આમંત્રણ અપાતા મમતાએ બેઠકમાં ભાગ ન લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય વતી વડા પ્રધાન કચેરીને એક પત્ર લખીને એમ પૂછવામાં આવ્યું છે કે આ બેઠકમાં ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ કેમ કરવામાં આવી રહ્યો છે?
આ દરમિયાન રાજ્યપાલ જગદીપ ધનખડે વડા પ્રધાન દ્વારા બોલાવાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના ભાગ ન લેવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જો મુખ્ય પ્રધાન અને તેમના અધિકારીઓ બેઠકમાં હાજર હોત તો તે રાજ્ય અને અહીંના લોકોના હિતમાં હોત. વિરોધી વલણ રાજ્ય અને લોકશાહીના હિતોને નુકસાન પહોંચાડે છે. મુખ્યમંત્રી અને તેમના અધિકારીઓ બેઠકમાં ભાગ ન લેવો બંધારણીય નિયમો અનુસાર નથી. સાથે સુવેદુ અધિકારીએ કહ્યું કે આ સમય રાજકારણ કરવાનો નથી પરંતુ લોકોને રાહત આપવા માટે સાથે મળીને કામ કરવાનો છે.

Previous articleદિલ્હીમાં સોમવારથી ફેક્ટરી- કન્સ્ટ્રક્શનો ધમધમતા થશે
Next articleભારત-અમેરિકા ભાગીદારી અંગે એસ. જયશંકર જેક સુલિવન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ