સામાન્ય લક્ષણોવાળા દર્દી માટે અનેક દવાઓ બંધ કરી દેવાઈ

407

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૭
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટેની ગાઈડલાઇનમાં ફેરફાર કર્યો છે. આ મુજબ, જે દર્દીઓ કોરોનાનાં લક્ષણો જણાતા નથી અથવા હળવા લક્ષણો ધરાવે છે, તેઓએ કોઈપણ પ્રકારની દવાઓ લેવાની જરૂર નથી જો કે, અન્ય રોગો માટે જે દવાઓ ચાલુ છે તે ચાલુ રાખવી જોઈએ. આવા દર્દીઓએ ટેલિ-કન્સલ્ટેશન લેવી જોઈએ. પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા જરૂરી નિયમોનું પાલન કરવું જોઈએ.
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ)એ નવી ગાઇડલાઇન હેઠળ એસિંમ્પટોમેટિક દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી બધી દવાઓ યાદીમાંથી દૂર કરી દીધી છે. આમાં તાવ અને શરદી અને ઉધરસની દવાઓ પણ શામેલ છે. ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે આવા સંક્રમિત લોકોને અન્ય ટેસ્ટ કરવવાની પણ જરૂર નથી. અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ૨૭ મેના રોજ જાહેર કરવામાં આવેલી સંશોધિત ગાઇડલાઇન્સ મુજબ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ડૉક્ટરો તરફથી આપવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટીવિટામીન અને અન્ય દવાઓને બંધ કરી દેવામાં આવી છે. હવે તેમને માત્ર તાવ માટે એન્ટીપાઇરેટીક અને શરદીના લક્ષણ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં આવશે.
ગાઇડલાઇન્સમાં ડૉક્ટરોને દર્દીને બિનજરુરી ટેસ્ટ બંધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
તેમાં સીટી સ્કેન પણ સામેલ છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. સાથોસાથ જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેના ફોન પર કન્સલટેશન લેવા અને પૌષ્ટિક આહાર ખાવાની પણ સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સમાં કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને એક-બીજા સાથે ફોન કે વીડિયો કોલના માધ્યમથી સકારાત્મક વાતો કરવા અને એક-બીજા સાથે જોડાયેલા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લક્ષણ વગરના દર્દી છે તેમને કોઈ દવા ન આપવી, તેમાં શરત એટલી છે કે તેઓ બીજી કોઈ બીમારીથી પીડિત ન હોવા જોઈએ. બીજી તરફ હળવા લક્ષણ ધરાવતા દર્દી છે તેમને જાતે જ શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલ મોનિટર કરવા માટે કહેવામાં આવે.
કોરોના વાયરસ સંક્રમણના લક્ષણવાળા દર્દી છે, તેમને એન્ટીપાઇરેટિક અને એન્ટીટ્યૂસિવ દવા લેવી જોઈએ. ઉધરસ માટે તેમને બૂડસોનાઇડની ૮૦૦ એમસીજી માત્રા દિવસમાં બે વાર પાંચ દિવસ સુધી લેવી જોઈએ.

Previous articleસેન્સેક્સનો ૨૨૮ પોઈન્ટનો કૂદકો, નિફ્ટી ૧૫૭૦૦ની સપાટીને પાર
Next articleપેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી હાલ છૂટકારો નહીં મળેઃ પ્રધાન