કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં પ્રથમ મોતની પુષ્ટિ

265

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૧૫
દેશમાં રસીકરણની પ્રકિયા ચાલી રહી છે. ભારતમાં એન્ટી કોરોના રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું અને આજ સુધીમાં લગભગ ૨૬ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. દરમિયાન રસીકરણને કારણે પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. સરકારી પેનલે એન્ટી કોરોના રસીકરણ પછી ઉદ્ભવતા ૩૧ ગંભીર કેસોની તપાસ કરી. આમાંથી, માત્ર ૧ મૃત્યુમાં રસીકરણને કારણ માનવામાં આવે છે. રીપોર્ટ મુજબ, ૮ માર્ચે ૬૮ વર્ષીય વ્યક્તિનું રસીકરણ પછી એનાફિલેક્સિસથી મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, રસીકરણ પછીની કોઈપણ સમસ્યાને એઇએફઆઈ કહેવામાં આવે છે એટલે કે, ઇમ્યુનાઇઝેશન પછીની પ્રતિકૂળ ઘટના. સરકારે એઇએફઆઈ માટે એક સમિતિની રચના કરી હતી.
મિરર નાઉની અનુસાર સમિતિના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ કહ્યું, ’હા, રસીકરણ પછી પહેલું મૃત્યુ થયું. દર્દીમાં એનાફિલેક્સિસ મળી આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૩ કેસ રસીના ઉત્પાદન સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.
સરકારી પેનલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ’રસી ઉત્પાદનને લગતી પ્રતિક્રિયાઓ આવી શકે છે, જે રસીકરણને કારણે છે. આ પ્રતિક્રિયાઓમાં એલર્જી અને એનાફિલેક્સિસ શામેલ છે.
૧૯ અને ૧૬ જાન્યુઆરીએ એનાફિલેક્સિસના અન્ય બે કેસોની રસી લેવામાં આવી હતી અને બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સાજા થયા હતા. એન્ટિ-કોવિડ રસીકરણ પછી એઇએફઆઈના કેસો કુલ રસીકરણોમાં માત્ર ૦.૦૧ ટકા હતા. તે જ સમયે મૃત્યુ દર પણ ઓછો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એઇએફઆઈ ડેટા જણાવે છે કે ૧૬ જાન્યુઆરીથી ૭ જૂન દરમિયાન ૨૬,૨૦૦ કેસ નોંધાયા હતા.

Previous articleબાળકોમાં કોવેક્સિનના પરીક્ષણ માટે નોંધણી શરૂ
Next articleસિંધિયાને મંત્રી બનાવવાની વકીથી ઘણા નેતાઓ ચિંતાતૂર